Atmadharma magazine - Ank 282
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 41

background image
: ૩૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
પ્રાતઃકાળ થતાં બંને ભાઈઓ તે સ્વપ્નની અને ભગવાન ઋષભદેવની કથા
કરતા બેઠા હતા; એવામાં યોગીરાજ ભગવાન ઋષભદેવે હસ્તિનાપુરીમાં પ્રવેશ કર્યો.
ભગવાનના આગમનથી આનંદિત થઈને ચારે કોરથી નગરજનોનાં ટોળેટોળાં દર્શન
કરવા ઊમટ્યા. ભોળા લોકો કહેતા હતા કે ભગવાન ફરીને આપણી સંભાળ કરવા
પધાર્યા; ઋષભદેવ જગતનાં પિતામહ છે એમ કાને સાંભળ્‌યું હતું, તે જગતપિતાને આજે
આંખવડે નજરે દેખ્યાં. ભગવાનના આગમનની વાત સાંભળીને નગરજનો ભોજનાદિ
કાર્યો પડતા મુકીને જલ્દી જલ્દી દર્શન કરવા માટે ચાલ્યા. જ્યારે આખી નગરીમાં આવો
કોલાહલ થઈ રહ્યો હતો ત્યારે પણ ભગવાન તો પોતાના સંવેગ અને વૈરાગ્યની સિદ્ધિને
માટે કમર બાંધીને વૈરાગ્યભાવનાઓનું ચિન્તન કરતા કરતા પોતાની આત્મમસ્તીમાં
મસ્ત ચાલ્યા આવતા હતા. આચાર્યદેવ કહે છે કે અહો, આવી રાગ–દ્વેષરહિત
સમતાવૃત્તિને ધારણ કરવી તે જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે.
ભગવાન ઋષભમુનિરાજ રાજમહેલની સન્મુખ પધારી રહ્યા હતા, તુરત જ
‘સિદ્ધાર્થ’ નામના દ્વારપાળે રાજા સોમપ્રભ અને શ્રેયાંસકુમારને વધામણી આપી કે
ભગવાન ઋષભદેવ આપણા આંગણામાં પધાર્યા છે.
સાંભળતાંવેંત બંને ભાઈઓ મંત્રી વગેરે સહિત ઊઠ્યા, અને અત્યંત
પ્રસન્નતાપૂર્વક રાજમહેલના આંગણા સુધી બહાર આવ્યા; ને દૂરથી જ અત્યંત
ભક્તિપૂર્વક ભગવાનના ચરણોમાં નમસ્કાર કર્યા. ભગવાન પધારતાં જ સન્માનપૂર્વક
પાદપ્રક્ષાલન કરીને અર્ઘવડે પૂજન કર્યું, ને પ્રદક્ષિણા લીધી. અહા, આંગણામાં આવું
નિધાન દેખીને તેમને અતિ સન્તોષ થયો, ભગવાનના દર્શનથી બંનેના રોમાંચ
ઉલ્લસિત થયા. હર્ષ અને ભક્તિથી નમ્રીભૂત તે બંને ભાઈઓ ઈન્દ્ર જેવા શોભતા હતા.
જેમ નિષધ અને નીલ પર્વતોની વચ્ચે ઉન્નત મેરું પર્વત શોભે તેમ બંને તરફ શ્રેયાંસ
અને સોમપ્રભની વચ્ચે ભગવાન ઋષભદેવ શોભતા હતા.
ભગવાનનું રૂપ દેખતાં જ શ્રેયાંસકુમારને જાતિસ્મરણ થયું, તેથી પૂર્વ ભવના
સંસ્કારને લીધે તેને ભગવાનને આહારદાન દેવાની બુદ્ધિ પ્રગટી. વજ્રજંઘ અને
શ્રીમતીના ભવનો બધો વૃત્તાંત તેને યાદ આવી ગયો અને તે ભવમાં શષ્પસરોવરના
કિનારે ચારણઋદ્ધિધારી બે મુનિવરોને આહારદાન દીધેલું તેનું પણ તેને સ્મરણ થયું.
સવારનો આ સમય મુનિઓને આહારદાન દેવા માટે ઉત્તમ સમય છે–એમ નિશ્ચય કરીને
તે પવિત્ર બુદ્ધિવાળા શ્રેયાંસકુમારે ભગવાનને આહારદાન કર્યું.