Atmadharma magazine - Ank 297
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 45

background image
: અષાડ : ૨૪૯૪ : આત્મધર્મ : ૩૯ :
ગુરુદેવના ચરણોમાં મારા જીવનના પચીસ વર્ષ : સંપાદકીય :
અનુસંધાન ટાઈટલ પૃ (૨) થી
ટ્રેઈન તો મને મુકીને ચાલી ગઈ. મને આવા સંતના ચરણથી દૂર લઈ જવાનું કામ
કરવાનું ટે્રઈનને નહિ ગમ્યું હોય એટલે મને સંતના શરણમાં જ મુકીને તે તો ચાલી ગઈ.
બસ, આ ટ્રેઈનનું ચૂકી જવું એ મારા જીવનપલટાની ઘડી!
પાછો રખડતો–રખડતો હું ગુરુદેવના શરણમાં આવ્યો. અને ગુરુદેવના જુના લખાયેલા
પ્રવચનોની નકલ (પ્રેસકોપી) કરવાના કાર્ય માટે સંસ્થાએ મારી પસંદગી કરી. આ રીતે સૌથી
પહેલવહેલું સમયસારના પ્રવચનો લખવાનું (પ્રેસકોપી કરવાનું) સુકાર્ય મને મળ્‌યું.
આ અરસામાં પૂ.ગુરુદેવના હંમેશના પ્રવચનો પૂ. બેનશ્રી–બેન બંને બેનો
ઝીલીને લખતા હતા.
ગુરુદેવના પ્રવચન લખતાં મને આવડે કે નહિ–તેની મને તો હજી ખબર પણ ન
હતી, પરંતુ પૂ. બેનશ્રી–બેનને કોણ જાણે ક્યાંથી ખબર પડી ગઈ–તે એક દિવસે
તેઓશ્રીએ મને આજ્ઞારૂપ સૂચના કરી કે તમે ગુરુદેવનું વ્યાખ્યાન લખતાં શીખો!
આવડવાના કારણે નહિ પરંતુ પૂ. બેનશ્રી–બેનનાં વચનો દ્વારા મળેલા અતિશય
ઉલ્લાસને કારણે, મેં પ્રવચન લખવા શરૂ કર્યા... ને તેમની પ્રેરણાના જ પ્રતાપે ત્રણેક
મહિનાની પ્રેકટીસ થતાં પ્રવચન લખવામાં હું ઉત્તીર્ણ થયો. શરૂઆતમાં એક પ્રવચનના
૧૨ પાનાં લખાયેલ, પછી અનુક્રમે ૧૬ થયા અને પછી સરેરાશ ૨૦ પાનાં જેટલું
લખાણ થતું. વધારેમાં વધારે ઝડપે એકવખત ૨૪ પાનાનું લખાણ થયું હતું. પછી તો
લેખનકાર્ય સહજ જેવું બની ગયું. જેમ જેમ લેખન થતું ગયું તેમ તેમ ગુરુદેવના ભાવો
પણ મારા મનમાં ઘૂંટાતા ગયા....ને મારા આત્મામાં તેના સંસ્કાર પડતા ગયા. પૂ.
ગુરુદેવનો નીકટ સહવાસ અણસમજણપણે પણ મને ખૂબ જ ગમતો...ને ગુરુદેવ
અમારા જેવા નાનકડા બાળકોને ઉલ્લાસ આપીને આનંદિત કરતા. પૂ. બેનશ્રી–બેનનાં
દર્શન પણ આ બાળકને કોઈ અકલ્પિત પ્રેરણાઓ જગાડીને આત્મહિતમાં પ્રેરતા હતા.
આમ એક તરફ ગુરુદેવના પ્રવચનોનું લેખન થતું ગયું, બીજી તરફ સમજવાની
જિજ્ઞાસા પણ વધતી ગઈ, ત્યાં ત્રીજી તરફથી આ ‘આત્મધર્મ’ માસિકની શરૂઆત થઈ.
અઢીસો ગ્રાહક થાય તો ઘણા–એવી ધારણાથી શરૂ થયેલ આ માસિક આજે ગુજરાતી–
હિંદી મળીને ચાર હજાર જેટલા ગ્રાહકો ધરાવે છે. આત્મધર્મનો પહેલો અંક સં.૨૦૦૦ ના
માગશર સુદ બીજે પ્રસિદ્ધ થયો હતો. મુ. શ્રી રામજીભાઈની દોરવણીમાં તેનું લેખન–
સંપાદન કરવાનું પણ મારા જ ભાગ્યમાં આવ્યું. આજે પચીસ વર્ષમાં ૨પ૦૦૦ જેટલા
પાનાં આત્મધર્મ માટે આ હાથે લખાઈ ચૂક્યાં છે, ને બીજા પણ ૨પ૦૦૦ જેટલા પાનાનું
સાહિત્ય ગુરુદેવના પ્રવચનમાંથી લખાઈ ગયું છે. આ રીતે પચાસ હજાર પાનાં જેટલું