PDF/HTML Page 41 of 42
single page version
પુ. ગુરુદેવની મંગલ છાયામાં સૌ સાધર્મીઓના સહકારથી આપણું આત્મધર્મ વિકસી
રહ્યું છે. V. P. કર્યાં વગર પણ એના લગભગ બધા ગ્રાહકો પોતાનું લવાજમ વેલાસર મોકલી
આપે છે, એટલું જ નહિ, તેની ગ્રાહકસંખ્યા પણ વધતી જાય છે. ગુરુદેવના પ્રવચનોની જે
અમૂલ્ય વાનગી તેમાં અપાય છે તેનો લાભ હજારો જિજ્ઞાસુઓ હોંશે હોંશે લઈ રહ્યા છે.
વિશાળ સંખ્યામાં અધ્યાત્મરસિક વાંચકવર્ગ એ ‘આત્મધર્મ’ નું ખાસ ગૌરવ છે.
આત્મધર્મ એ કોઈ લૌકિક છાપા જેવું છાપું નથી પરંતુ એ વીતરાગધર્મનો સન્દેશ
આપનાર ઉચ્ચ કોટિનું આધ્યાત્મિક પત્ર છે; તેમાં આવતા લેખોની પસંદગી ગંભીર
વિચારણાપૂર્વક અને શ્રી દેવ–શાસ્ત્ર–ગુરુની પુરેપૂરી મર્યાદા જાળવીને કરવામાં આવે છે.
કઈ રીતે જૈનશાસનની વધુ ને વધુ પ્રભાવના થાય, ને કઈ રીતે વધુ ને વધુ જિજ્ઞાસુ
જીવો તેનો લાભ લ્યે–એવી ભાવનાથી તેનું સંપાદન થાય છે. અને અમને સંતોષ છે કે
ભારતના જિજ્ઞાસુ જીવોએ પણ આત્મધર્મને એવા જ પ્રેમથી ને બહુમાનથી અપનાવ્યું છે.
આત્મધર્મમાં અવારનવાર પ્રસંગોચિત લેખો પણ આપવામાં આવે છે. જેમકે
ચંદ્રલોક સંબંધી અત્યારે જે અંધાધુંધ પ્રચાર ચાલી રહ્યો છે તે સંબંધમાં જૈનસિદ્ધાંત અનુસાર
સાચી હકીકત શું છે–તે વાત શાસ્ત્રાધારપૂર્વક સ્પષ્ટ કરવામાં આવી, –તે વાંચીને આપણા
સેંકડો–હજારો શિક્ષિત ભાઈ–બહેનોને જૈનસિદ્ધાંત પ્રત્યે વિશ્વાસનું કારણ થયું છે, ને અનેક
જીવોની શંકાઓનું નિરાકરણ થયું છે. આજના વાતાવરણમાં કેટલાય જીવો એવી દ્વિધામાં
રહેતા હતા કે આજનું વિદેશી વિજ્ઞાન કહે છે તે સાચું હશે કે આપણા જૈન સિદ્ધાંતમાં કહ્યું છે
તે સાચું હશે? –આવી પરિસ્થિતિમાં સિદ્ધાંત અનુસાર સત્ય હકીકત જાણવાથી કેટલાય
જીવોની દ્વિધા મટી છે, ને તે સંબંધી અનેક પત્રો આવેલા છે.
આત્મધર્મનો વાંચકવર્ગ વિશાળ છે અને વિચારક પણ છે. સંપાદક સમસ્ત
વાંચકોને પોતાના એક સાધર્મી કુટુંબ સમાન ગણે છે; તથા વિવિધ વાંચકો તરફથી
આત્મધર્મના વિકાસ માટે આવતા સૂચનોને પ્રેમપૂર્વક આવકારે છે... અને એવા સૂચનો
મોકલવા માટે સૌને હાર્દિક આમંત્રણ છે. –जय जिनेन्द्र
– બ્ર. હ. જૈન
PDF/HTML Page 42 of 42
single page version
ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
સુખ એટલે આત્મા
રૂપિયાથી સુખ નથી મળતું
(૧) અનંતા રૂપિયા કોઈ પાસે હોઈ ન શકે, પણ અનંતગુણો દરેક જીવ પાસે છે;
કેમકે સ્થૂળ રૂપિયા તો આખા લોકમાં પણ અસંખ્ય જ સમાઈ શકે, અનંત રૂા.
લોકમાં સમાય જ નહિ. અનંતગુણો તો એકેક જીવમાં સદાય વસેલા જ છે.
(૨) માટે હે જીવ! આવા તારા નિજગુણનિધાનને તું સંભાળ! –રૂપિયા વગર જ
તેમાં પરમ સુખ ભરેલું છે.
(૩) તારા નિજવૈભવની સંભાળમાં તને એવું સુખ થશે કે જેમાં રૂપિયાની જરૂર
જ ન પડે.
(૪) પોતાનું સહજ સુખ ભૂલીને વેચાતું સુખ લેવા જવું તે મુર્ખાઈ છે.
(પ) જેમ જ્ઞાન બજારમાં વેચાતું મળતું નથી તેમ સુખ પણ બજારમાં પૈસાથી
વેચાતું મળતું નથી.
(૬) જ્ઞાનની જેમ સુખગુણ આત્માનો છે, જડનો નથી.
(૭) જડમાં સુખ માનતાં ચેતનનું સાચું સુખ ભુલાય છે.
(૮) જડમાં સુખ કોણ શોધે? જે દુઃખી હોય, ને પોતામાં સુખ ન દેખે, તે જડમાં
સુખ શોધે. પોતામાં સુખ જેણે દેખ્યું હોય તે પરમાં સુખ શોધે નહીં.
(૯) સુખ તે આત્મા છે, અને આત્માના અનુભવથી જ પ્રગટે છે.
(૧૦) સિદ્ધભગવંતોને પરમ ઉત્કૃષ્ટ સુખ છે, તે સુખ શેનું? કે પોતાના
આત્મસ્વભાવનું.
______________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (પ્રત: ૨૬૦૦)