Benshreena Vachanamrut (Gujarati). Bol: 239-241.

< Previous Page   Next Page >


Page 83 of 186
PDF/HTML Page 100 of 203

 

બહેનશ્રીનાં વચનામૃત
૮૩

શુભનો વ્યવહાર પણ અસાર છે, તેમાં રોકાવા જેવું નથી. કોઈ માણસ નગરનું ધ્યેય બાંધી ચાલવા માંડે તો વચ્ચે વચ્ચે ગામ, ખેતર, ઝાડ, બધું આવે, પણ તે બધું છોડતો જાય છે; તેમ સાધકને આ શુભાદિનો વ્યવહાર વચ્ચે આવે પણ સાધ્ય તો પૂર્ણ શુદ્ધાત્મા જ છે. માટે તે વ્યવહારને છોડતો પૂર્ણ શુદ્ધાત્મસ્વરૂપમાં જ પહોંચી જાય છે. ૨૩૯.

અરે જીવ! અનંત અનંત કાળ વીત્યો, તેં પરનું તો કોઈ દિવસ કંઈ કર્યું જ નથી; અંદરમાં શુભાશુભ વિકલ્પો કરીને જન્મ-મરણ કર્યાં. હવે અનંત ગુણનો પિંડ એવો જે નિજ શુદ્ધાત્મા તેને બરાબર સમજી, તેમાં જ તીક્ષ્ણ દ્રષ્ટિ કરી, પ્રયાણ કર; તેનું જ શ્રદ્ધાન, તેની અનુભૂતિ, તેમાં જ વિશ્રામ કર. ૨૪૦.

ઓહો! આ તો ભગવાન આત્મા! સર્વાંગે સહજાનંદની મૂર્તિ! જ્યાંથી જુઓ ત્યાં આનંદ, આનંદ ને આનંદ. જેમ સાકરમાં સર્વાંગે ગળપણ તેમ આત્મામાં સર્વાંગે આનંદ. ૨૪૧.