૮૨
ભિન્નતા છે અને વસ્તુ-અપેક્ષાએ અભેદ છે એમ જ્ઞાન જાણે છે. ‘આ આત્માની આ પર્યાય પ્રગટ થઈ, આ સમ્યગ્દર્શન થયું, આ મુનિદશા થઈ, આ કેવળજ્ઞાન થયું’ — એમ બધી મહિમાવંત પર્યાયોને તેમ જ અન્ય સર્વ પર્યાયોને જ્ઞાન જાણે છે. આમ હોવા છતાં શુદ્ધ દ્રષ્ટિ (સામાન્ય સિવાય) કોઈ પ્રકારમાં રોકાતી નથી.
સાધક આત્માને ભૂમિકા પ્રમાણે દેવ-ગુરુના મહિમાના, શ્રુતચિંતવનના, અણુવ્રત-મહાવ્રતના ઇત્યાદિ વિકલ્પો હોય છે, પણ તે જ્ઞાયકપરિણતિને બોજારૂપ છે કારણ કે સ્વભાવથી વિરુદ્ધ છે. અધૂરી દશામાં તે વિકલ્પો હોય છે; સ્વરૂપમાં એકાગ્ર થતાં, નિર્વિકલ્પ સ્વરૂપમાં વાસ થતાં, તે બધા છૂટી જાય છે. પૂર્ણ વીતરાગ દશા થતાં સર્વ પ્રકારના રાગનો ક્ષય થાય છે.
— આવી સાધકદશા પ્રગટ કરવાયોગ્ય છે. ૨૩૭.
તારે જો તારું પરિભ્રમણ ટાળવું હોય તો તારા દ્રવ્યને તીક્ષ્ણ બુદ્ધિથી ઓળખી લે. જો દ્રવ્ય તારા હાથમાં આવી ગયું તો તને મુક્તિની પર્યાય સહેજે મળી જશે. ૨૩૮.