સાધના કરનારને કોઈ સ્પૃહા હોતી નથી. મારે બીજું કંઈ જોઈતું નથી, એક આત્મા જ જોઈએ છે. આ ક્ષણે વીતરાગતા થતી હોય તો બીજું કંઈ જ નથી જોઈતું; પણ અંદર રહેવાતું નથી, માટે બહાર આવવું પડે છે. અત્યારે કેવળજ્ઞાન થતું હોય તો બહાર જ ન આવીએ. ૨૬૩.
તારા ચિત્તમાં બીજો રંગ સમાયેલો છે, ત્યાં સુધી આત્માનો રંગ લાગી શકતો નથી. બહારનો બધો રસ છૂટી જાય તો આત્મા — જ્ઞાયકદેવ પ્રગટ થાય છે. જેને ગુણરત્નોથી ગૂંથાયેલો આત્મા મળી જાય, તેને આ તુચ્છ વિભાવોથી શું પ્રયોજન? ૨૬૪.
આત્મા જાણનાર છે, સદાય જાગૃતસ્વરૂપ જ છે. જાગૃતસ્વરૂપ એવા આત્માને ઓળખે તો પર્યાયમાં પણ જાગૃતિ પ્રગટે. આત્મા જાગતી જ્યોત છે, તેને જાણ. ૨૬૫.
જો તારે જન્મ-મરણનો નાશ કરી આત્માનું કલ્યાણ કરવું હોય તો આ ચૈતન્યભૂમિમાં ઊભો રહીને તું પુરુષાર્થ કર; તારાં જન્મ-મરણનો નાશ થઈ જશે. આચાર્યદેવ