જેમ એક રત્નનો પર્વત હોય અને એક રત્નનો કણિયો હોય ત્યાં કણિયો તો વાનગીરૂપ છે, પર્વતનો પ્રકાશ અને તેની કીમત ઘણી વધારે હોય; તેમ કેવળજ્ઞાનનો મહિમા શ્રુતજ્ઞાન કરતાં ઘણો વધારે છે. એક સમયમાં સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને સંપૂર્ણપણે જાણનાર કેવળજ્ઞાનમાં અને અલ્પ સામર્થ્યવાળા શ્રુતજ્ઞાનમાં — ભલે તે અંતર્મુહૂર્તમાં બધુંય શ્રુત ફેરવી જનાર શ્રુતકેવળીનું શ્રુતજ્ઞાન હોય તોપણ — ઘણો મોટો તફાવત છે. જ્યાં જ્ઞાન અનંત કિરણોથી પ્રકાશી નીકળ્યું, જ્યાં ચૈતન્યની ચમત્કારિક ૠદ્ધિ પૂર્ણ પ્રગટ થઈ ગઈ — એવા પૂર્ણ ક્ષાયિક જ્ઞાનમાં અને ખંડાત્મક ક્ષાયોપશમિક જ્ઞાનમાં અનંતો ફેર છે. ૩૨૪.
જ્ઞાનીને સ્વાનુભૂતિ વખતે કે ઉપયોગ બહાર આવે ત્યારે દ્રષ્ટિ તળ ઉપર કાયમ ટકેલી છે. બહાર એકમેક થયેલો દેખાય ત્યારે પણ તે તો (દ્રષ્ટિ-અપેક્ષાએ) ઊંડી ઊંડી ગુફામાંથી બહાર નીકળતો જ નથી. ૩૨૫.
તળ સ્પર્શ્યું તેને બહાર થોથું લાગે છે. ચૈતન્યના તળમાં પહોંચી ગયો તે ચૈતન્યની વિભૂતિમાં પહોંચી ગયો. ૩૨૬.