૧૧૮
અંદરમાં ઊંડાણથી ભાવના જાગે અને વસ્તુનું સ્વરૂપ કેવું છે તેની ઓળખાણ કરે, પ્રતીતિ કરે, તો સાચી શાન્તિ મળ્યા વિના રહે નહિ. ૩૪૭.
રુચિની ઉગ્રતાએ પુરુષાર્થ સહજ લાગે અને રુચિની મંદતાએ કઠણ લાગે. રુચિ મંદ પડી જતાં આડેઅવળે ચડી જાય ત્યારે અઘરું લાગે અને રુચિ વધતાં સહેલું લાગે. પોતે પ્રમાદ કરે તો દુર્ગમ થાય છે અને પોતે ઉગ્ર પુરુષાર્થ કરે તો પામી જવાય છે. બધેય પોતાનું જ કારણ છે.
સુખનું ધામ આત્મા છે, આશ્ચર્યકારી નિધિ આત્મામાં છે — એમ વારંવાર આત્માનો મહિમા લાવી પુરુષાર્થ ઉપાડવો, પ્રમાદ તોડવો. ૩૪૮.
ચક્રવર્તી, બળદેવ અને તીર્થંકર જેવા ‘આ રાજ, આ વૈભવ — કાંઈ નથી જોઈતું’ એમ સર્વની ઉપેક્ષા કરી એક આત્માની સાધના કરવાની ધૂને એકલા જંગલમાં ચાલી નીકળ્યા! જેમને બહારમાં કોઈ વાતની ખામી નહોતી, જે ઇચ્છે તે જેમને મળતું હતું, જન્મથી જ, જન્મ થયા પહેલાં પણ, ઇન્દ્રો જેમની સેવામાં તત્પર