પછી જેના ગર્ભમાં તેનાથી અનંતાનંતગુણાં દુઃખ પડ્યાં છે એવા મિથ્યાત્વને છોડવાનો ઉદ્યમ તું કેમ કરતો નથી? ગફલતમાં કેમ રહે છે? આવો ઉત્તમ યોગ ફરીને ક્યારે મળશે? તું મિથ્યાત્વ છોડવાને મરણિયો પ્રયત્ન કર, એટલે કે શાતા – અશાતાથી ભિન્ન તેમ જ આકુળતામય શુભાશુભ ભાવોથી પણ ભિન્ન એવા નિરાકુળ જ્ઞાયકસ્વભાવને અનુભવવાનો પ્રબળ પુરુષાર્થ કર. એ જ આ ભવમાં કરવા જેવું છે. ૪૧૬.
સમ્યગ્દર્શન થયા પછી આત્મસ્થિરતા વધતાં વધતાં, વારંવાર સ્વરૂપલીનતા થયા કરે એવી દશા થાય ત્યારે મુનિપણું આવે છે. મુનિને સ્વરૂપ તરફ ઢળતી શુદ્ધિ એવી વધી ગઈ હોય છે કે તેઓ ઘડીએ ઘડીએ આત્માની અંદરમાં પ્રવેશી જાય છે. પૂર્ણ વીતરાગતાના અભાવને લીધે જ્યારે બહાર આવે છે ત્યારે વિકલ્પો તો ઊઠે છે પણ તે ગૃહસ્થદશાને યોગ્ય હોતા નથી, માત્ર સ્વાધ્યાય-ધ્યાન-વ્રત-સંયમ-તપ-ભક્તિ ઇત્યાદિસંબંધી મુનિયોગ્ય શુભ વિકલ્પો જ હોય છે અને તે પણ હઠ રહિત હોય છે. મુનિરાજને બહારનું કાંઈ જોઈતું નથી. બહારમાં એક શરીરમાત્રનો સંબંધ છે, તેના પ્રત્યે પણ પરમ ઉપેક્ષા છે. ઘણી નિઃસ્પૃહ દશા છે. આત્માની જ