૧૬૪
લગની લાગી છે. ચૈતન્યનગરમાં જ વાસ છે. ‘હું ને મારા આત્માના અનંત ગુણો તે જ મારા ચૈતન્યનગરની વસ્તી છે. તેનું જ મારે કામ છે. બીજાનું મારે શું કામ છે?’ એમ એક આત્માની જ ધૂન છે. વિશ્વની વાર્તાથી ઉદાસ છે. બસ, એક આત્મામય જ જીવન થઈ ગયું છે; — જાણે હાલતા-ચાલતા સિદ્ધ! જેમ પિતાનો અણસાર પુત્રમાં દેખાય તેમ જિનભગવાનનો અણસાર મુનિરાજમાં દેખાય છે. મુનિ છઠ્ઠે-સાતમે ગુણસ્થાને રહે તેટલો કાળ કાંઈ (આત્મશુદ્ધિની દશામાં આગળ વધ્યા વિના) ત્યાં ને ત્યાં ઊભા નથી રહેતા, આગળ વધતા જાય છે; કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી શુદ્ધિ વધારતા જ જાય છે. — આ, મુનિની અંતઃસાધના છે. જગતના જીવો મુનિની અંદરની સાધના દેખતા નથી. સાધના કાંઈ બહારથી જોવાની ચીજ નથી, અંતરની દશા છે. મુનિદશા આશ્ચર્યકારક છે, વંદ્ય છે. ૪૧૭.
સિદ્ધભગવાનને અવ્યાબાધ અનંત સુખ પ્રગટ્યું તે પ્રગટ્યું. તેનો કદી નાશ થતો નથી. જેને દુઃખનાં બીજડાં જ બળી ગયાં છે તે કદી સુખ છોડીને દુઃખમાં ક્યાંથી આવે? એક વાર જેઓ ક્ષાયિક સમ્યગ્દર્શન પામીને છૂટા પરિણમે છે તેઓ પણ કદી