૧૭૪
સ્વક્ષેત્રમાં રહીને લોકાલોકને જાણનારું આશ્ચર્યકારક, સ્વપરપ્રકાશક પ્રત્યક્ષજ્ઞાન તેમને પ્રગટ થયું, આત્માના અસંખ્ય પ્રદેશોમાં આનંદાદિ અનંત ગુણોની અનંત પૂર્ણ પર્યાયો પ્રકાશી નીકળી.
અત્યારે આ પંચમ કાળે ભરતક્ષેત્રમાં તીર્થંકર- ભગવાનના વિરહ છે, કેવળજ્ઞાની પણ નથી. મહાવિદેહ- ક્ષેત્રમાં કદી તીર્થંકરનો વિરહ પડતો નથી, સદાય ધર્મકાળ વર્તે છે. આજે પણ ત્યાં ભિન્ન ભિન્ન વિભાગમાં એક એક તીર્થંકર થઈને વીશ તીર્થંકર વિદ્યમાન છે. હાલમાં વિદેહક્ષેત્રના પુષ્કલાવતીવિજયમાં શ્રી સીમંધરનાથ વિચરી રહ્યા છે અને સમવસરણમાં બિરાજી દિવ્યધ્વનિના ધોધ વરસાવી રહ્યા છે. એ રીતે અન્ય વિભાગોમાં અન્ય તીર્થંકરભગવંતો વિચરી રહ્યા છે.
જોકે વીરભગવાન નિર્વાણ પધાર્યા છે તોપણ આ પંચમ કાળમાં આ ભરતક્ષેત્રે વીરભગવાનનું શાસન પ્રવર્તી રહ્યું છે, તેમનો ઉપકાર વર્તી રહ્યો છે. વીરપ્રભુના શાસનમાં અનેક સમર્થ આચાર્ય- ભગવંતો થયા જેમણે વીરભગવાનની વાણીનાં રહસ્યને વિધવિધ પ્રકારે શાસ્ત્રોમાં ભરી દીધાં છે. શ્રી કુંદકુંદાદિ સમર્થ આચાર્યભગવંતોએ દિવ્યધ્વનિનાં ઊંડાં રહસ્યોથી ભરપૂર પરમાગમો રચી મુક્તિનો માર્ગ અદ્ભુત રીતે પ્રકાશ્યો છે.