૧૮
મંદ વિકલ્પમાં શાન્તિ મનાઈ જાય છે, પણ વિકલ્પમાત્રમાં તીવ્ર દુઃખ લાગે તો અંદર માર્ગ મળ્યા વિના રહે નહિ. ૪૮.
આખા દિવસમાં આત્માર્થને પોષણ મળે તેવા પરિણામ કેટલા છે ને બીજા પરિણામ કેટલા છે તે તપાસી પુરુષાર્થ તરફ વળવું. ચિંતવન ખાસ કરવું જોઈએ. કષાયના વેગમાં તણાતાં અટકવું, ગુણગ્રાહી બનવું. ૪૯.
તું સત્ની ઊંડી જિજ્ઞાસા કર જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે; તારી મતિ સરળ અને સવળી થઈ આત્મામાં પરિણમી જશે. સત્ના સંસ્કાર ઊંડા નાખ્યા હશે તો છેવટે બીજી ગતિમાં પણ સત્ પ્રગટશે. માટે સત્ના ઊંડા સંસ્કાર રેડ. ૫૦.
આકાશ-પાતાળ ભલે એક થાય પણ ભાઈ! તારા ધ્યેયને તું ચૂકીશ નહિ, તારા પ્રયત્નને છોડીશ નહિ. આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું. જે ધ્યેયે ચડ્યો તે પૂર્ણ કરજે, જરૂર સિદ્ધિ થશે. ૫૧.