માન આદિ દેખાય તોપણ ખરેખર આત્મદ્રવ્ય તેનાથી ભિન્ન છે. વસ્તુસ્વભાવમાં મલિનતા નથી. પરમાણુ પલટીને વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વિનાનો ન થાય તેમ વસ્તુસ્વભાવ બદલાતો નથી. આ તો પરથી એકત્વ તોડવાની વાત છે. અંદર વાસ્તવિક પ્રવેશ કર તો છૂટું પડે. ૮૧.
‘હું તો અરીસાની જેમ અત્યંત સ્વચ્છ છું; વિકલ્પની જાળથી આત્મા મલિન ન થાય; હું તો વિકલ્પથી જુદો, નિર્વિકલ્પ આનંદઘન છું; એવો ને એવો પવિત્ર છું.’ — એમ પોતાના સ્વભાવની જાતિને ઓળખ. વિકલ્પથી મલિન થઈ — મલિનતા માની ભ્રમણામાં છેતરાઈ ગયો છો; અરીસાની જેમ જાતિએ તો સ્વચ્છ જ છો. નિર્મળતાના ભંડારને ઓળખ તો એક પછી એક નિર્મળતાની પર્યાયનો સમૂહ પ્રગટશે. અંદર જ્ઞાન ને આનંદ આદિની નિર્મળતા જ ભરેલી છે. ૮૨.
અંતરમાં આત્મા મંગળસ્વરૂપ છે. આત્માનો આશ્રય કરવાથી મંગળસ્વરૂપ પર્યાયો પ્રગટશે. આત્મા જ મંગળ, ઉત્તમ અને નમસ્કાર કરવાયોગ્ય છે — એમ યથાર્થ