જેમ સાચાં મોતી ને ખોટાં મોતી ભેગા હોય તો મોતીનો પારખુ એમાંથી સાચાં મોતીને જુદાં પાડી લે છે, તેમ આત્માને ‘પ્રજ્ઞાથી ગ્રહવો’, જે જાણનારો છે તે હું, જે દેખનારો છે તે હું — એમ ઉપયોગ સૂક્ષ્મ કરીને આત્માને અને વિભાવને જુદા પાડી શકાય છે. આ જુદા પાડવાનું કાર્ય પ્રજ્ઞાથી જ થાય છે. વ્રત, તપ કે ત્યાગાદિ ભલે હો, પણ તે સાધન ન થાય, સાધન તો પ્રજ્ઞા જ છે.
સ્વભાવના મહિમાથી પરપદાર્થ પ્રત્યે રસબુદ્ધિ — સુખબુદ્ધિ તૂટી જાય છે. સ્વભાવમાં જ રસ લાગે, બીજું નીરસ લાગે. ત્યારે જ અંતરની સૂક્ષ્મ સંધિ જણાય. એમ ન હોય કે પરમાં તીવ્ર રુચિ હોય ને ઉપયોગ અંતરમાં પ્રજ્ઞાછીણીનું કાર્ય કરે. ૧૯૭.
જ્ઞાતાપણાના અભ્યાસથી જ્ઞાતાપણું પ્રગટ થતાં કર્તાપણું છૂટે છે. વિભાવ પોતાનો સ્વભાવ નથી તેથી આત્મદ્રવ્ય કાંઈ પોતે ઊછળીને વિભાવમાં એકમેક થઈ જતું નથી, દ્રવ્ય તો શુદ્ધ રહે છે; માત્ર અનાદિ કાળની માન્યતાને લીધે ‘પર એવા જડ પદાર્થને હું કરું છું, રાગાદિ મારું સ્વરૂપ છે, હું વિભાવનો ખરેખર કર્તા છું’ વગેરે ભ્રમણા થઈ રહી છે. યથાર્થ જ્ઞાતાધારા