પરંતુ અપરિણામી તત્ત્વ ઉપર — જ્ઞાયક ઉપર — દ્રષ્ટિ તે જ સમ્યક્ દ્રષ્ટિ છે. માટે ‘આ મારી જ્ઞાનની પર્યાય’, ‘આ મારી દ્રવ્યની પર્યાય’ એમ પર્યાયમાં શું કામ રોકાય છે? નિષ્ક્રિય તત્ત્વ ઉપર — તળ ઉપર — દ્રષ્ટિ સ્થાપ ને!
પરિણામ તો થયા જ કરશે. પણ, આ મારી અમુક ગુણપર્યાય થઈ, આ મારા આવા પરિણામ થયા — એમ શા માટે જોર આપે છે? પર્યાયમાં — પલટતા અંશમાં — દ્રવ્યનું પરિપૂર્ણ નિત્ય સામર્થ્ય થોડું આવે છે? તે પરિપૂર્ણ નિત્ય સામર્થ્યને અવલંબ ને!
જ્ઞાનાનંદસાગરનાં તરંગોને ન જોતાં તેના દળ ઉપર દ્રષ્ટિ સ્થાપ. તરંગો તો ઊછળ્યા જ કરશે. તું એમને અવલંબે છે શું કામ?
અનંત ગુણોના ભેદ ઉપરથી પણ દ્રષ્ટિ હઠાવી લે. અનંત ગુણમય એક નિત્ય નિજતત્ત્વ — અપરિણામી અભેદ એક દળ — તેમાં દ્રષ્ટિ દે. પૂર્ણ નિત્ય અભેદનું જોર લાવ. તું જ્ઞાતાદ્રષ્ટા થઈ જઈશ. ૨૦૧.
દ્રઢ પ્રતીતિ કરી, સૂક્ષ્મ ઉપયોગવાળો થઈ, દ્રવ્યમાં ઊંડો ઊતરી જા, દ્રવ્યના પાતાળમાં જા. ત્યાંથી તને