તારે શુદ્ધિ વધારવી હોય, દુઃખથી છૂટવાની ભાવના હોય, તો અધિક ગુણવાળા કે સરખા ગુણવાળાના સંગમાં વસજે.
લૌકિક સંગ તારો પુરુષાર્થ મંદ પડવાનું કારણ થશે. વિશેષ ગુણીનો સંગ તારા ચૈતન્યતત્ત્વને નિહાળવાની પરિણતિ વિશેષ વધવાનું કારણ થશે.
અચાનક આવી પડેલા અસત્સંગમાં તો પોતે પુરુષાર્થ રાખી જુદો રહે, પણ પોતે રસપૂર્વક જો અસત્સંગ કરે તો તેની પરિણતિ મંદ પડી જાય.
— આ તો સ્વરૂપમાં ઝૂલતા મુનિઓને (આચાર્ય- દેવની) ભલામણ છે. નિશ્ચય-વ્યવહારની સંધિ જ એવી છે. આ પ્રમાણે પોતાની ભૂમિકાનુસાર બધાએ સમજી લેવાનું છે. ૨૨૯.
આત્મા તો આશ્ચર્યકારી ચૈતન્યમૂર્તિ! પહેલાં ચારે બાજુથી તેને ઓળખી, પછી નય-પ્રમાણ વગેરેના પક્ષ છોડી અંદરમાં ઠરી જવું. તો અંદરથી જ મુક્ત સ્વરૂપ પ્રગટ થશે. અંદર સ્વરૂપમાં ઠરી ગયેલા જ્ઞાનીઓ જ સાક્ષાત્ અતીન્દ્રિય આનંદામૃતને અનુભવે છે — ‘त एव साक्षात् अमृतं पिबन्ति’. ૨૩૦.