Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 20 of 153
PDF/HTML Page 33 of 166

 

background image
૨૦ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
‘મારે પણ દર્શન કરવા આવવું છે.’ એમ કહીને બહેનશ્રી દાસભાઈ સાથે
રાજકોટ ગયાં. ભાભી પણ સાથે ગયાં. બહેનશ્રીનો વિચાર ગુરુદેવને
એકાંતમાં કહેવાનો હતો એટલે સદરના ઉપાશ્રયે અંદર જઈને પહેલાં
દાસભાઈને કહ્યુંઃ ‘તમે જરા આઘા ઊભા રહો.’ દાસભાઈ, દૂરથી જોઈ શકે
એ રીતે, આઘા ઊભા રહી ગયા. બહેનશ્રી ગુરુદેવ પાસે ગયાં, ને ભાવથી
દર્શન કરીને વિનયપૂર્વક નમ્રતાથી બોલ્યાંઃ ‘સાહેબ! આપના પ્રતાપે મને
આત્મસાક્ષાત્કાર થયો છે.’ ગુરુદેવ કહેઃ ‘દાસભાઈ! અહીં ઓરા આવો;’ કેમ
કે બૈરાં સાથે એકલા ગુરુદેવ વાતો ન કરે ને! પછી ગુરુદેવે, જે પૂછવું હતું તે
બહેનશ્રીને પૂછયુંઃ ‘બહેન! તમને આત્મસાક્ષાત્કાર થતાં શું થયું? બહેનશ્રીએ
કહ્યુંઃ ‘આત્મા અકર્તા થઈ ગયો; કર્તૃત્વ છૂટી ગયું ને જ્ઞાતા થઈ ગયો.’-
ઇત્યાદિ કહ્યું. માત્ર સ્વલ્પ પ્રશ્નોના ઉત્તરોથી જ પૂરો સંતોષ થઈ જવાથી
વિશેષ કાંઈ પૂછવાને બદલે ગુરુદેવ ઠરી ગયા, શાન્ત-શાન્ત થઈ ગયા અને
થોડી ક્ષણ પછી ગંભીર થઈને સ્વગત ગણગણ્યાઃ ‘ઓહો! આત્મા ક્યાં સ્ત્રી
કે પુરુષ છે? આત્મા ક્યાં બાળક કે વૃદ્ધ છે?’
(બહેનશ્રીને તે વખતે માત્ર ઓગણીશમું વર્ષ ચાલતું હતું.)
પોતાને પરિભ્રમણનો કિનારો આવી ગયાની આનંદકારી વાત, ઉપર
પ્રમાણે પરમોપકારી ગુરુદેવ સમક્ષ પ્રમોદપૂર્વક પ્રસ્તુત કરીને, પૂજ્ય બહેનશ્રી
પાછાં વાંકાનેર (મોટા ભાઈ વજુભાઈ ને ત્યાં) પધાર્યાં.
હવે પછી (સં ૧૯૮૯થી) દર વર્ષે પૂજ્ય ગુરુદેવ જે ગામમાં ચાતુર્માસ
રહ્યા હોય તે ગામમાં તેઓશ્રીનાં કલ્યાણકારી વ્યાખ્યાનોનો લાભ લેવા અર્થે
પૂજ્ય બહેનશ્રીએ ચાર મહિના રહેવાનું શરૂ કર્યું. બહેન શાન્તાબેન તો એ
પ્રમાણે રહેતાં જ હતાં. પૂજ્ય ગુરુદેવે તેમને કહ્યુંઃ ‘આ બહેન (ચંપાબેન)
બહુ પાત્ર છે, ગંભીર છે, વિચારક છે, ઊંડપ છે, અને વૈરાગી છે, ઠરેલ છે;
તમને લાભ થાય તેવાં છે. તમારે લાભ લેવા જેવો છે.’-આમ પૂજ્ય ગુરુદેવે
ભલામણ કરી. એ રીતે પૂજ્ય બહેનશ્રી (ચંપાબેન) અને બહેન શાન્તાબેનનો
ચાતુર્માસમાં સાથે રહેવાનો યોગ શરૂ થયો.
પૂજ્ય ગુરુદેવે વિ. સં. ૧૯૯૧માં સોનગઢ મધ્યે ‘પરિવર્તન’ કર્યું.
ત્યારપછી