આવો ઉત્તમ યોગ ફરી ક્યારે મળશે? નિગોદમાંથી નીકળીને ત્રસપણું પામવું એ ચિંતામણિ તુલ્ય દુર્લભ છે, તો મનુષ્યપણું પામવું, જૈનધર્મ મળવો એ તો મહા દુર્લભ છે. પૈસો ને આબરૂ મળવાં એ દુર્લભ નથી. આવો ઉત્તમ યોગ મળ્યો છે તે લાંબો કાળ નહિ રહે, માટે વિજળીના ઝબકારે મોતી પરોવી લેવા જેવું છે. આવો યોગ ફરીને ક્યારે મળશે? માટે તું દુનિયાનાં માન-સન્માન ને પૈસાનો મહિમા છોડીને, દુનિયા શું કહેશે તેનું લક્ષ છોડીને, મિથ્યાત્વને છોડવા એક વાર મરણિયો પ્રયત્ન કર. ૧૫૧.
જેમ લૌકિકમાં મોસાળના ગામના કોઈ મોટા માણસને ‘મામો’ કહે છે પણ તે સાચો મામો નથી, કહેવામાત્ર — ‘કહેણો મામો’ — છે; તેમ જેને આત્માની શ્રદ્ધા, જ્ઞાન ને રમણતારૂપ નિશ્ચય ‘ધર્મ’ પ્રગટ્યો હોય તે જીવના દયાદાનાદિના શુભરાગને ‘કહેણા મામા’ની જેમ વ્યવહારે ‘ધર્મ’ કહેવાય છે. એમ ‘ધર્મ’ના કથનનાં નિશ્ચય-વ્યવહાર એ બન્ને પડખાં જાણવાં તેનું નામ બન્ને નયોનું ‘ગ્રહણ કરવું’ કહ્યું છે. ત્યાં વ્યવહારને અંગીકાર કરવાની વાત નથી. ‘ઘીનો ઘડો’ કહેતાં ઘડો ઘીનો નથી પણ માટીનો છે; તેમ વ્રતાદિને