સાચી તત્ત્વદ્રષ્ટિ થયા પછી પણ દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ વગેરેના શુભ ભાવમાં જ્ઞાની જોડાય, પણ તેનાથી ધર્મ થશે એમ તે માને નહિ. સમ્યગ્દર્શન થયા પછી સ્થિરતામાં આગળ વધતાં વ્રતાદિના પરિણામ આવે, પરંતુ તેનાથી ધર્મ ન માને. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો નિર્મળ શુદ્ધ પર્યાય જેટલે જેટલે અંશે પ્રગટે તેને જ ધર્મ માને. દયા-પૂજા-ભક્તિ વગેરેના શુભ પરિણામ તો વિકારી ભાવ છે; તેનાથી પુણ્યબંધ થાય પણ ધર્મ ન થાય. ૧૯૩.
જ્ઞાતાપણાને લીધે નિશ્ચયથી સમ્યગ્દ્રષ્ટિ વિરાગી ઉદયમાં આવેલાં કર્મને માત્ર જાણી જ લે છે. ભોગોપ- ભોગમાં હોવા છતાં જ્ઞાની રાગની અને શરીરાદિની ક્રિયા બધી પર છે એમ જાણે છે, પોતે જ્ઞાતાપણે પરિણમી રહ્યો છે ને! ૧૯૪.
દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ, પૂજા, પ્રભાવના વગેરેના શુભભાવ જેવા જ્ઞાનીને થાય એવા અજ્ઞાનીને થાય જ નહિ. ૧૯૫.
શુભભાવ પોતામાં થાય છે માટે તેને ‘અભૂતાર્થ’ ન