આપતાં ગુરુદેવના શબ્દે શબ્દે ઘણી ગહનતા, સૂક્ષ્મતા અને નવીનતા નીકળતી. જે અનંત જ્ઞાન ને આનંદમય પૂર્ણ દશા પ્રાપ્ત કરીને તીર્થંકરદેવે દિવ્યધ્વનિ દ્વારા વસ્તુસ્વરૂપ નિરૂપ્યું, તે પરમ પવિત્ર દશાનો સુધાસ્યંદી સ્વાનુભૂતિસ્વરૂપ પવિત્ર અંશ પોતાના આત્મામાં પ્રગટ કરીને સદ્ગુરુદેવે પોતાની વિકસિત જ્ઞાનપર્યાય દ્વારા શાસ્ત્રમાં રહેલાં ગૂઢ રહસ્યો સમજાવીને મુમુક્ષુઓ પર મહાન મહાન ઉપકાર કર્યો.
ગુરુદેવની વાણી સાંભળી સેંકડો શાસ્ત્રોના અભ્યાસી વિદ્વાનો પણ આશ્ચર્યચકિત થઈ જતા અને ઉલ્લાસમાં આવીને કહેતાઃ ‘ગુરુદેવ! આપનાં પ્રવચનો અપૂર્વ છે; તેમનું શ્રવણ કરતાં અમને તૃપ્તિ જ થતી નથી. આપ ગમે તે વાત સમજાવો તેમાંથી અમને નવું નવું જ જાણવાનું મળે છે. નવ તત્ત્વનું સ્વરૂપ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું સ્વરૂપ, સ્યાદ્વાદનું સ્વરૂપ કે સમ્યક્ત્વનું સ્વરૂપ, નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ કે વ્રત-તપ-નિયમનું સ્વરૂપ, ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ કે સાધ્ય-સાધનનું સ્વરૂપ, દ્રવ્યાનુયોગનું સ્વરૂપ કે ચરણાનુયોગનું સ્વરૂપ, ગુણસ્થાનનું સ્વરૂપ કે બાધક- સાધકભાવનું સ્વરૂપ, મુનિદશાનું સ્વરૂપ કે કેવળજ્ઞાનનું સ્વરૂપ — જે જે વિષયનું સ્પષ્ટીકરણ આપના શ્રીમુખે અમે સાંભળીએ છીએ તેમાં અમને અપૂર્વ ભાવો દ્રષ્ટિગોચર થાય છે. આપના શબ્દે શબ્દે વીતરાગદેવનું હૃદય પ્રગટ થાય છે.’
ગુરુદેવ વારંવાર કહેતાઃ ‘સમયસાર સર્વોત્તમ શાસ્ત્ર છે.’ સમયસારની વાત કરતાં પણ તેમને અતિ ઉલ્લાસ આવી જતો. સમયસારની પ્રત્યેક ગાથા મોક્ષ આપે એવી છે એમ તેઓશ્રી કહેતા. ભગવાન કુંદકુંદાચાર્યદેવનાં બધાં શાસ્ત્રો પર તેમને અપાર પ્રેમ હતો. ‘ભગવાન કુંદકુંદાચાર્યદેવનો અમારા પર ઘણો ઉપકાર