[ ૯ ]
ઔદાર્યને તેં આદરી જગમાં જણાવ્યું બોલથી;
આચારમાં મૂકી ઘણું જોયું અનુભવ તોલથી.૭.
તારા હૃદયની ગૂઢતા ત્યાં મૂઢ જનની મૂઢતા;
જે આત્મયોગી હોય તે જાણે ખરે તવ શુદ્ધતા.૮.
પહોંચ્યો અને પહોંચાડતો તું લોકને શુદ્ધ ભાવમાં;
અધ્યાત્મરસિયા જે થયા, બેઠા ખરે શુદ્ધ નાવમાં.૯.
દુનિયા થકી ડરતો નથી, આશા નથી મમતા જરી;
જ્યાં હું વસું ત્યાં તું નહીં, એ ભાવના વિલસે ખરી.૧૦.
સ્યાદ્વાદ પારાવાર છે, આનંદ અપરંપાર છે;
સાચા હૃદયનો સંત છે, પરવા નથી જયકાર છે.૧૧.
આશા નથી કીર્તિ તણી, અપકીર્તિને ગણતો નથી;
લોકો મને એ શું કહે ત્યાં લક્ષને દેતો નથી.૧૨.
વ્યવહારના ભેદો ઘણા ત્યાં ક્લેશને કરતો નથી;
લાગી લગનવા આત્મની, બીજું કશું જોતો નથી.૧૩.
તેં ભાવસંયમ બોટમાં બેસી પ્રયાણ જ આદર્યું;
ભવપથ-ઉદધિ તરવા વિશે તેં લક્ષ અંતરમાં ધર્યું.૧૪.
જે જે ભર્યું તુજ ચિત્તમાં, તે બાહ્યમાં દેખાય છે;
અધ્યાત્મરસરસિયા જનોથી તુજ હૃદય પરખાય છે.૧૫.
એકાંતથી અધ્યાત્મમાં જે શુષ્ક થઈને ચાલતો,
ચાબુક તેને મારીને વ્યવહારમાંહી વાળતો.૧૬.
✽