જીવને કષાયભાવ થતાં શરીરની ચેષ્ટા એ કષાયભાવ અનુસાર થઈ જાય છે. જેમ —
ક્રોધાદિક થતાં રક્ત નેત્રાદિ થઈ જાય, હાસ્યાદિક થતાં પ્રફુલ્લિત વદનાદિક થઈ જાય અને
પુરુષવેદાદિ થતાં લિંગકાઠિણ્યાદિ થઈ જાય. હવે એ સર્વને એકરૂપ માની આ એમ માને છે
કે – ‘‘એ બધા કાર્ય હું કરું છું.’’ શરીરમાં શીત – ઉષ્ણ, ક્ષુધા – તૃષા અને રોગાદિ અવસ્થાઓ
થાય છે તેના નિમિત્તથી મોહભાવવડે પોતે સુખ – દુઃખ માને છે. એ બધાને એકરૂપ જાણી
શીતાદિક વા સુખ – દુઃખ પોતાને જ થયાં એમ માને છે. વળી શરીરના પરમાણુઓનું મળવું –
વિખરાવું આદિ થવાથી, અથવા શરીરની અવસ્થા પલટાવાથી વા શરીર સ્કંધના ખંડાદિક થવાથી
સ્થૂલ – કૃશાદિક, બાળ – વૃદ્ધાદિક વા અંગહીનાધિક થાય છે અને તે અનુસાર પોતાના પ્રદેશોનો
પણ સંકોચ – વિસ્તાર થાય છે. એ બધાને એકરૂપ માની આ જીવ ‘‘હું સ્થૂલ છું, હું કૃશ છું,
હું બાળક છું, હું વૃદ્ધ છું તથા મારાં અમુક અંગોનો ભંગ થયો’’ ઇત્યાદિ માને છે.
શરીરની અપેક્ષાએ ગતિ – કુલાદિક હોય છે તેને પોતાના માની ‘‘હું મનુષ્ય છું, હું તિર્યંચ
છું, હું ક્ષત્રિય છું તથા હું વૈશ્ય છું’’ — ઇત્યાદિરૂપ માને છે. શરીરનો સંયોગ થવા અને
છૂટવાની અપેક્ષાએ જન્મ – મરણ હોય છે તેને પોતાનાં જન્મ – મરણ માની ‘‘હું ઊપજ્યો, હું
મરીશ’’ એમ માને છે. વળી શરીરની જ અપેક્ષાએ અન્ય વસ્તુઓથી સંબંધ માને છે. જેમ
કે – જેનાથી શરીર નીપજ્યું તેને પોતાનાં માતા – પિતા માને છે, શરીરને રમાડે તેને પોતાની
રમણી માને છે, શરીર વડે નીપજ્યાં તેને પોતાનાં દીકરા – દીકરી માને છે, શરીરને જે ઉપકારક
છે તેને પોતાનો મિત્ર માને છે તથા શરીરનું બૂરું કરે તેને પોતાનો શત્રુ માને છે, – ઇત્યાદિરૂપ
તેની માન્યતા હોય છે. ઘણું શું કહીએ? હરકોઈ પ્રકાર વડે પોતાને અને શરીરને તે એકરૂપ
જ માને છે. ઇન્દ્રિયાદિકનાં નામ તો અહીં કહ્યાં છે, પણ તેને તો કાંઈ ગમ્ય નથી. માત્ર અચેત
જેવો બની પર્યાયમાં જ અહંબુદ્ધિ ધારણ કરે છે, તેનું શું કારણ છે તે અહીં કહીએ છીએ.
આ આત્માને અનાદિ કાળથી ઇન્દ્રિયજ્ઞાન છે, જેથી અમૂર્તિક એવો પોતે તો પોતાને
ભાસતો નથી, પણ મૂર્તિક એવું શરીર જ ભાસે છે. અને તેથી આત્મા કોઈ અન્યને આપરૂપ
જાણી તેમાં અહંબુદ્ધિ અવશ્ય ધારણ કરે, કારણ કે પોતે પોતાને પરથી જુદો ન ભાસ્યો એટલે
તેના સમુદાયરૂપ પર્યાયમાં જ તે અહંબુદ્ધિ ધારણ કરે છે. વળી પોતાને અને શરીરને નિમિત્ત –
નૈમિત્તિકસંબંધ ઘણો હોવાથી (શરીરથી પોતાની) ભિન્નતા ભાસતી નથી. હવે જે વિચારો વડે
ભિન્નતા ભાસી શકે એમ છે એ વિચારો મિથ્યાદર્શનના જોરથી થઈ શકતા નથી તેથી તેને
પર્યાયમાં જ અહંબુદ્ધિ હોય છે. મિથ્યાદર્શનવડે આ જીવ કોઈ વેળા બાહ્ય સામગ્રીનો સંયોગ
થતાં તેને પણ પોતાની માને છે. પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, હાથી, ઘોડા, મકાન અને નોકર –
ચાકરાદિ જે પોતાનાથી પ્રત્યક્ષ ભિન્ન છે, સદાકાળ પોતાને આધીન નથી — એમ પોતાને જણાય
તોપણ તેમાં મમકાર કરે છે. પુત્રાદિકમાં ‘‘આ છે તે હું જ છું.’’ એવી પણ કોઈ વેળા
ભ્રમબુદ્ધિ થાય છે. મિથ્યાદર્શનથી શરીરાદિકનું સ્વરૂપ પણ અન્યથા જ ભાસે છે. અનિત્યને
ચોથો અધિકારઃ મિથ્યાદર્શન – જ્ઞાન – ચારિત્રનું વિશેષ નિરૂપણ ][ ૮૩