વળી તે વિષ્ણુને લોકનો રક્ષક કહે છે તે પણ મિથ્યા છે. કારણ કે રક્ષક હોય તે
તો બે જ કાર્ય કરે છે. એક તો દુઃખ ઉપજાવવાવાળાં કારણ ન થવા દે તથા બીજું સુખનો
નાશ કરનારાં કારણો ન થવા દે. પણ લોકમાં તો દુઃખ જ ઉપજાવનારાં કારણ ઠામ ઠામ
જોવામાં આવે છે, અને તેનાથી જીવોને દુઃખ જ થતું દેખાય છે. ભૂખ – તરસ આદિ લાગી
રહ્યાં છે, શીત – ઉષ્ણાદિક વડે દુઃખ થાય છે, જીવો એકબીજાને દુઃખ ઉપજાવે છે તથા શસ્ત્રાદિ
દુઃખના કારણો બની રહ્યાં છે. વળી વિનાશનાં કારણ પણ અનેક બની રહ્યાં છે. જેમકે –
રોગાદિક વા અગ્નિ – વિષ – શસ્ત્રાદિક પર્યાય નાશનાં કારણો જીવોને જોવામાં આવે છે, તથા
જીવોને પરસ્પર વિનાશનાં કારણો પણ જોઈએ છીએ. એ પ્રમાણે બંને પ્રકારથી રક્ષા કરી નહિ
તો એ વિષ્ણુએ રક્ષક થઈને શું કર્યું?
ત્યારે તે કહે છે કે — ‘‘વિષ્ણુ રક્ષક જ છે. જુઓ, ક્ષુધા – તૃષાદિક મટાડવા અર્થે અન્ન –
જળાદિક બનાવ્યાં છે, કીડીને કણ અને હાથીને મણ પહોંચાડે છે, સંકટમાં સહાય કરે છે
અને મરણનાં કારણ બનતાં પણ ટિટોડીની૧ માફક બચાવે છે, ઇત્યાદિ પ્રકારથી વિષ્ણુ રક્ષા
કરે છે.’’ તેને અમે પૂછીએ છીએ કે – જો એમ છે તો જ્યાં જીવોને ક્ષુધા – તૃષાદિક ઘણાં પીડે
છે, અન્ન – જળાદિક તેમને મળતાં નથી, સંકટ વેળા કોઈ સહાય હોતી નથી તથા કિંચિત્ કારણ
પામતાં તેમનું મરણ થઈ જાય છે, ત્યાં એ વિષ્ણુની શક્તિ જ નહોતી કે તેને જ્ઞાન નહોતું?
તથા લોકમાં એવા બીજા ઘણા જ દુઃખી થાય છે – મરણ પામે છે તો તેમની રક્ષા વિષ્ણુએ
કેમ ન કરી?
ત્યારે તે કહે છે કે — ‘‘એ જીવોના પોતાના કર્તવ્યનું ફળ છે.’’ તેને અમે કહીએ છીએ
કે – જેમ લોભી જૂઠો શક્તિહીન વૈદ્ય કોઈનું કાંઈ ભલું થાય તેને તો કહે કે ‘‘મારું કર્યું થયું’’
તથા જ્યાં બૂરું થાય – મરણ થાય ત્યારે કહે કે – ‘એનું એમ જ થવા યોગ્ય હતું.’ તેમ તું કહે
છે કે – ‘‘ભલું થયું ત્યાં તો વિષ્ણુનું કર્યું થયું તથા બૂરું થયું ત્યાં જીવોના કર્તવ્યનું ફળ થયું.’’
પણ એવી જૂઠી કલ્પના શા માટે કરે છે? કાં તો બૂરું – ભલું બંને વિષ્ણુનું કર્યું કહે અગર
કાં તો પોતાના કર્તવ્યનું ફળ કહે. જો વિષ્ણુનું કર્યું થયું હોય તો ઘણા જીવો દુઃખ અને શીઘ્ર
મરણ પામતા જોઈએ છીએ. હવે એવું કાર્ય કરે તેને રક્ષક કેવી રીતે કહીએ? તથા જો પોતાના
કર્તવ્યનું ફળ છે તો ‘‘કરશે તે પામશે’’ એમાં વિષ્ણુએ શું રક્ષા કરી?
ત્યારે તે કહે છે કે — ‘‘જે વિષ્ણુના ભક્ત છે તેમની તે રક્ષા કરે છે.’’ ત્યાં અમે કહીએ
છીએ કે – જો એમ છે તો કીડી કુંજરાદિ તેમનાં ભક્ત નથી છતાં તેમને અન્નાદિક
પહોંચાડવામાં, સંકટ વેળા સહાય થવામાં તથા મરણ ન થવામાં વિષ્ણુનું કર્તવ્ય માની તેને
૧. એક પ્રકારનું પક્ષી (ટીટોડી) એક સમુદ્રના કિનારે રહેતી નથી. તેનાં ઇંડાં સમુદ્ર વહેવડાવી
લઈ જતો હતો તેથી દુઃખી થઈ તેણે ગરુડપક્ષીની મારફત વિષ્ણુને અરજ કરી એટલે વિષ્ણુએ સમુદ્રની
પાસેથી તેના ઇંડાં પાછાં અપાવ્યાં. આવી કથા પુરાણોમાં છે.
૧૦૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક