શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ
વ્યવહારનય સ્વદ્રવ્ય – પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ – કાર્યાદિકને કોઈના કોઈમાં
મેળવી નિરૂપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો. વળી
નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ
શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.
પ્રશ્નઃ — જો એમ છે તો જિનમાર્ગમાં બંને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું
કારણ?
ઉત્તરઃ — જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેનો
તો ‘‘સત્યાર્થ એમ જ છે’’ એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત
વ્યાખ્યાન છે તેને ‘‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે’’ એમ જાણવું;
અને એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન
સત્યાર્થ જાણી, ‘‘આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે’’ એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી
તો બંને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.
પ્રશ્નઃ — જો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે
આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું?
ઉત્તરઃ — એવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે ત્યાં આ ઉત્તર આપ્યો છે કે —
જેમ કોઈ અનાર્ય – મલેચ્છને મલેચ્છભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી, તેમ
વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે તેથી વ્યવહારનો ઉપદેશ છે. વળી એ જ સૂત્રની
વ્યાખ્યામાં એમ કહ્યું છે કે — એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ
આપીએ છીએ પણ વ્યવહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી.
❁
(૧૬)