સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૫૯
પરદ્રવ્યનાં નિમિત્ત મટવાની સાપેક્ષતાવડે વ્રત, શીલ, સંયમાદિરૂપ વીતરાગભાવના વિશેષ
બતાવવામાં આવ્યા ત્યારે તને વીતરાગભાવની ઓળખાણ થઈ.
એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ થતો નથી એમ
સમજવું.
બીજું, અહીં વ્યવહારથી નર – નારકી આદિ પર્યાયને જ જીવ કહ્યો પણ ત્યાં પર્યાયને
જ જીવ ન માની લેવો, પર્યાય તો જીવ – પુદ્ગલના સંયોગરૂપ છે; ત્યાં નિશ્ચયથી જીવદ્રવ્ય
ભિન્ન છે, તેને જ જીવ માનવો. જીવના સંયોગથી શરીરાદિકને પણ ઉપચારથી જીવ કહ્યા
છે પણ એ કહેવામાત્ર જ છે, પરમાર્થથી શરીરાદિક કાંઈ જીવ થતા નથી, એવું જ શ્રદ્ધાન
કરવું.
વળી અભેદ આત્મામાં જ્ઞાન – દર્શનાદિ ભેદ કર્યા ત્યાં તેને ભેદરૂપ જ ન માની લેવા,
કેમકે ભેદ તો સમજાવવા માટે કર્યા છે, નિશ્ચયથી આત્મા અભેદ જ છે; તેને જ જીવવસ્તુ
માનવી. સંજ્ઞા – સંખ્યાદિથી ભેદ કહ્યા છે તે તો કહેવામાત્ર જ છે, પરમાર્થથી તે જુદાજુદા નથી
એવું જ શ્રદ્ધાન કરવું.
તથા પરદ્રવ્યનું નિમિત્ત મટવાની અપેક્ષાએ વ્રત – શીલ – સંયમાદિકને મોક્ષમાર્ગ કહ્યો ત્યાં
તેને જ મોક્ષમાર્ગ ન માની લેવો, કારણ કે – જો પરદ્રવ્યનાં ગ્રહણ – ત્યાગ આત્માને હોય
તો આત્મા પરદ્રવ્યનો કર્તા – હર્તા થઈ જાય. પણ કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને આધીન
છે જ નહિ, તેથી આત્મા પોતાના ભાવ જે રાગાદિક છે તેને છોડી વીતરાગ થાય છે, તેથી
નિશ્ચયથી વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે. વીતરાગભાવોને તથા વ્રતાદિકોને કદાચિત્ કાર્ય –
કારણપણું છે તેથી વ્રતાદિકને મોક્ષમાર્ગ કહ્યો, તે કહેવામાત્ર જ છે; પરમાર્થથી બાહ્યક્રિયા
મોક્ષમાર્ગ નથી – એવું જ શ્રદ્ધાન કરવું.
એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ વ્યવહારનયનો અંગીકાર ન કરવો એમ જાણી લેવું.
પ્રશ્નઃ — વ્યવહારનય પરને ઉપદેશ કરવામાં જ કાર્યકારી છે કે પોતાનું પણ
પ્રયોજન સાધે છે?
ઉત્તરઃ — પોતે પણ જ્યાંસુધી નિશ્ચયનયથી પ્રરૂપિત વસ્તુને ન ઓળખે ત્યાંસુધી
વ્યવહારમાર્ગવડે વસ્તુનો નિશ્ચય કરે માટે નીચલી દશામાં વ્યવહારનય પોતાને પણ કાર્યકારી
છે. પરંતુ વ્યવહારને ઉપચારમાત્ર માની તે દ્વારા વસ્તુનો બરાબર નિર્ણય કરે ત્યારે તો કાર્યકારી
થાય, પણ જો નિશ્ચયની માફક વ્યવહારને પણ સત્યભૂત માની ‘વસ્તુ આમ જ છે,’ એવું શ્રદ્ધાન
કરે તો તે ઊલટો અકાર્યકારી થઈ જાય.
એ જ વાત શ્રી પુરુષાર્થ સિદ્ધ્યુપાયમાં કહી છે. યથા —