૩૦૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
ઉદયાવલીમાં નાખીને તેનું નામ ઉદીરણા જ છે, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે યથાસંભવ અર્થ
જાણવો.
બીજું, એક જ શબ્દના પૂર્વશબ્દ જોડતાં અનેક પ્રકારના અર્થ થાય છે વા તે જ શબ્દના
અનેક અર્થ છે, ત્યાં જેવો સંભવે તેવો અર્થ સમજવો. જેમકે — ‘જીતે’ તેનું નામ જિન છે; પરંતુ
ધર્મપદ્ધતિમાં કર્મશત્રુને જીતે તેનું નામ ‘જિન’ સમજવું. અહીં કર્મશત્રુ શબ્દને પ્રથમ જોડતાં જે
અર્થ થાય તે ગ્રહણ કર્યો, અન્ય ન કર્યો. વળી પ્રાણ ધારણ કરે તેનું નામ ‘જીવ’ છે; જ્યાં
જીવન – મરણના વ્યવહાર અપેક્ષાએ કથન હોય ત્યાં ઇન્દ્રિયાદિ પ્રાણ ધારણ કરે તે ‘જીવ’ છે,
દ્રવ્યાદિકના નિશ્ચયની અપેક્ષાએ નિરૂપણ હોય ત્યાં ચૈતન્યપ્રાણને ધારણ કરે તે ‘જીવ’ છે. વળી
‘સમય’ શબ્દના અનેક અર્થ છે — આત્માનું નામ સમય છે, સર્વ પદાર્થોનું નામ સમય છે,
કાળનું નામ સમય છે, સમયમાત્ર કાળનું નામ સમય છે, શાસ્ત્રનું નામ સમય છે તથા મતનું
નામ પણ સમય છે. એ પ્રમાણે અનેક અર્થોમાં જ્યાં જેવો સંભવે ત્યાં તેવો અર્થ સમજવો.
વળી કોઈ ઠેકાણે તો અર્થ અપેક્ષાએ નામાદિક કહેવામાં આવે છે તથા કોઈ ઠેકાણે
રૂઢિ અપેક્ષાએ નામાદિક કહેવામાં આવે છે. ત્યાં જ્યાં રૂઢિઅપેક્ષાએ નામ લખ્યાં હોય ત્યાં
તેનો શબ્દાર્થ ગ્રહણ કરવો નહિ પણ તેનો રૂઢિરૂપ જે અર્થ હોય તે જ ગ્રહણ કરવો. જેમ
કે – સમ્યક્ત્વાદિકને ધર્મ કહ્યો ત્યાં તો આ જીવને ઉત્તમસ્થાનમાં ધારણ કરે છે તેથી તેનું ‘ધર્મ’
નામ સાર્થક છે પણ જ્યાં ધર્મદ્રવ્યનું નામ ધર્મ કહ્યું હોય ત્યાં તો રૂઢિનામ છે, અક્ષરાર્થ ગ્રહણ
કરવો નહિ, એ નામની ધારક એક વસ્તુ છે એવો અર્થ ગ્રહણ કરવો. એ જ પ્રમાણે અન્ય
ઠેકાણે પણ સમજવું.
વળી કોઈ ઠેકાણે શબ્દનો જે અર્થ થતો હોય તે તો ન ગ્રહણ કરવો પણ ત્યાં જે
પ્રયોજનભૂત અર્થ હોય તે ગ્રહણ કરવો. જેમ – કોઈ ઠેકાણે કોઈનો અભાવ કહ્યો હોય તથા
ત્યાં કિંચિત્ સદ્ભાવ હોય તો ત્યાં સર્વથા અભાવ ન ગ્રહણ કરવો પણ કિંચિત્ સદ્ભાવને
નહિ ગણતાં અહીં અભાવ કહ્યો છે, એવો અર્થ સમજવો. સમ્યગ્દ્રષ્ટિને રાગાદિકનો અભાવ
કહ્યો ત્યાં આ પ્રમાણે અર્થ સમજવો. વળી નોકષાયનો અર્થ તો આ છે કે ‘કષાયનો નિષેધ,’
પણ અહીં એ અર્થ ગ્રહણ ન કરવો, અહીં તો ક્રોધાદિક જેવા એ કષાય નથી, કિંચિત્ કષાય
છે, માટે એ નોકષાય છે એવો અર્થ ગ્રહણ કરવો એમ અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી કોઈ ઠેકાણે કોઈ યુક્તિવડે કથન કર્યું હોય ત્યાં તેનું પ્રયોજન ગ્રહણ કરવું. જેમ –
શ્રી સમયસાર કળશ નં. ૨૯ માં એમ કહ્યું કે – ધોબીના દ્રષ્ટાંતવત્ પરભાવના ત્યાગની દ્રષ્ટિ
જ્યાં સુધી પ્રવૃત્તિને પ્રાપ્ત ન થઈ તેટલામાં તો આ અનુભૂતિ પ્રગટ થઈ; હવે ત્યાં આ પ્રયોજન
છે કે – પરભાવનો ત્યાગ થતાં જ અનુભૂતિ પ્રગટ થાય છે. લોકમાં પણ કોઈના આવતાંની સાથે
જ કોઈ કાર્ય થયું હોય તો ત્યાં એમ કહેવામાં આવે છે કે ‘એ આવ્યો જ નથી એટલામાં