નવમો અધિકાર ][ ૩૧૯
આ સૂત્રની ટીકામાં કહ્યું છે કે – અહીં ‘मोक्षमार्ग’ એવું જે એકવચન કહ્યું છે તેનો અર્થ
આ છે કે એ ત્રણે મળીને એક મોક્ષમાર્ગ છે; જુદાજુદા ત્રણ માર્ગ નથી.
પ્રશ્નઃ — અસંયતસમ્યગ્દ્રષ્ટિને તો ચારિત્ર નથી; તો તેને મોક્ષમાર્ગ થયો છે કે
નથી થયો?
ઉત્તરઃ — મોક્ષમાર્ગ તેને થશે એ તો નિયમ થયો; અને તેથી ઉપચારથી તેને મોક્ષમાર્ગ
થયો પણ કહીએ છીએ; પરમાર્થથી સમ્યક્ચારિત્ર થતાં જ મોક્ષમાર્ગ થાય છે. જેમ કોઈ પુરુષને
કોઈ નગરમાં જવાનો નિશ્ચય થયો તેથી તેને વ્યવહારથી એમ પણ કહીએ છીએ કે — ‘આ
અમુક નગર જાય છે,’ પણ પરમાર્થથી માર્ગમાં ગમન કરતાં જ ચાલવું થશે; તેમ
અસંયતસમ્યગ્દ્રષ્ટિને વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગનું શ્રદ્ધાન થયું છે તેથી તેને ઉપચારથી મોક્ષમાર્ગી
કહીએ છીએ, પણ પરમાર્થથી વીતરાગભાવરૂપ પરિણમતાં જ મોક્ષમાર્ગ થશે. શ્રી પ્રવચનસારમાં
પણ એ ત્રણેની એકાગ્રતા થતાં જ મોક્ષમાર્ગ કહ્યો છે, માટે એમ જાણવું કે — તત્ત્વશ્રદ્ધાન –
જ્ઞાન વિના તો રાગાદિ ઘટાડવા છતાં મોક્ષમાર્ગ નથી તથા રાગાદિ ઘટાડ્યા વિના તત્ત્વશ્રદ્ધાન –
જ્ઞાનથી પણ મોક્ષમાર્ગ નથી; એ ત્રણે મળતાં જ સાક્ષાત્ મોક્ષમાર્ગ થાય છે.
હવે તેનું નિર્દેશ તથા લક્ષણનિર્દેશ અને પરીક્ષા દ્વારા નિરૂપણ કરીએ છીએ.
✾ લક્ષણ અને તેના દોષ ✾
ત્યાં સમ્યગ્દર્શન – સમ્યગ્જ્ઞાન – સમ્યક્ચારિત્ર મોક્ષનો માર્ગ છે’ એવું નામમાત્ર કથન કરવું
તે તો ‘નિર્દેશ’ જાણવો.
તથા જે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવપણાવડે રહિત હોય કે જેથી તેને
ઓળખવામાં આવે તે ‘લક્ષણ’ જાણવું; તેનો જે નિર્દેશ અર્થાત્ નિરૂપણ તે ‘લક્ષણનિર્દેશ’ જાણવો.
ત્યાં જેને ઓળખવાનું હોય તેનું નામ લક્ષ્ય છે અને તે સિવાય અન્યનું નામ અલક્ષ્ય
છે. હવે જે લક્ષ્ય વા અલક્ષ્ય બંનેમાં હોય એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અતિવ્યાપ્તિપણું
જાણવું; જેમ આત્માનું લક્ષણ ‘અમૂર્તત્વ’ કહ્યું ત્યાં અમૂર્તત્વ લક્ષણ લક્ષ્ય જ આત્મા છે તેમાં
પણ હોય છે તથા અલક્ષ્ય જે આકાશાદિ તેમાં પણ હોય છે, માટે એ લક્ષણ અતિવ્યાપ્તિદોષ
સહિત લક્ષણ છે. કારણ કે એ વડે આત્માને ઓળખતાં આકાશાદિ પણ આત્મા થઈ જાય,
એ દોષ આવે તથાઃ —
જે કોઈ લક્ષ્યમાં તો હોય તથા કોઈમાં ન હોય, એ પ્રમાણે લક્ષ્યના એકદેશમાં હોય
એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અવ્યાપ્તિપણું જાણવું; જેમ આત્માનું લક્ષણ કેવળજ્ઞાનાદિક
કહીએ ત્યાં કેવળજ્ઞાન તો કોઈ આત્મામાં હોય છે ત્યારે કોઈમાં નથી હોતું માટે એ લક્ષણ