૩૪૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
કેટલાંક સકળસંયમરૂપ કહ્યાં; તેમાં પ્રથમ ગુણસ્થાનથી માંડી ચોથા ગુણસ્થાન સુધી કષાયનાં
જે સ્થાન હોય છે તે બધાં અસંયમના જ હોય છે, તેથી ત્યાં કષાયોની મંદતા હોવા છતાં
પણ ચારિત્ર નામ પામતાં નથી.
જોકે પરમાર્થથી કષાયનું ઘટવું એ ચારિત્રનો અંશ છે તોપણ વ્યવહારથી જ્યાં કષાયોનું
એવું ઘટવું થાય કે જેથી શ્રાવકધર્મ વા મુનિધર્મનો અંગીકાર થાય ત્યાં જ ચારિત્ર નામ પામે
છે. હવે અસંયતગુણસ્થાનમાં એવા કષાય ઘટતાં નથી તેથી ત્યાં અસંયમ કહ્યો છે. વળી
કષાયોની અધિકતા – હીનતા હોવા છતાં પણ જેમ પ્રમત્તાદિ ગુણસ્થાનોમાં સર્વત્ર સકળસંયમ જ
નામ પામે છે તેમ મિથ્યાત્વથી અસંયત સુધીના ગુણસ્થાનોમાં અસંયમ નામ પામે છે પણ સર્વ
ઠેકાણે અસંયમની સમાનતા ન જાણવી.
પ્રશ્નઃ — જો અનંતાનુબંધીપ્રકૃતિ સમ્યક્ત્વને ઘાતતી નથી તો તેનો ઉદય થતાં
સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ સાસાદન ગુણસ્થાનને કેમ પામે છે?
ઉત્તરઃ — જેમ કોઈ મનુષ્યને મનુષ્યપર્યાય નાશ થવાના કારણરૂપ તીવ્રરોગ પ્રગટ
થયો હોય તેને મનુષ્યપર્યાય છોડવાવાળો કહીએ છીએ પણ મનુષ્યપણું દૂર થતાં દેવાદિપર્યાય
થાય છે તે તો આ રોગ અવસ્થામાં થઈ નથી, અહીં તો મનુષ્યનું જ આયુષ્ય છે; તેમ
સમ્યગ્દ્રષ્ટિને સમ્યક્ત્વના નાશના કારણ અનંતાનુબંધીનો ઉદય થયો હોય તેને સમ્યક્ત્વનો
વિરાધક સાસાદની કહ્યો, પણ સમ્યક્ત્વનો અભાવ થતાં મિથ્યાત્વ થાય છે તે અભાવ તો આ
સાસાદનમાં થયો નથી, અહીં તો ઉપશમસમ્યક્ત્વનો જ કાળ છે – એમ જાણવું.
એ પ્રમાણે સમ્યક્ત્વના સદ્ભાવમાં અનંતાનુબંધી ચોકડીની વ્યવસ્થા થાય છે માટે સાત
પ્રકૃતિઓના ઉપશમાદિકથી પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ કહીએ છીએ.
પ્રશ્નઃ — તો સમ્યક્ત્વમાર્ગણાના છ ભેદ કર્યા તે કેવી રીતે?
ઉત્તરઃ — સમ્યક્ત્વના તો ત્રણ જ ભેદ છે, પરંતુ સમ્યક્ત્વના અભાવરૂપ મિથ્યાત્વ,
એ બંનેનો મિશ્રભાવ તે મિશ્ર, તથા સમ્યક્ત્વનો ઘાતકભાવ તે સાસાદન. એ પ્રમાણે સમ્યક્ત્વ-
માર્ગણાથી જીવનો વિચાર કરતાં છ ભેદ કહ્યા છે.
અહીં કોઈ કહે કે – ‘સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વમાં આવ્યો હોય તેને મિથ્યાત્વ-
સમ્યક્ત્વ કહેવાય’ એમ કહેવું એ તો અસત્ય છે, કારણ કે — અભવ્યને પણ તેનો સદ્ભાવ
હોય છે. વળી મિથ્યાત્વસમ્યક્ત્વ કહેવું એ જ અશુદ્ધ છે. જેમ સંયમમાર્ગણામાં અસંયમ કહ્યા
છે તથા ભવ્યમાર્ગણામાં અભવ્ય કહ્યા છે, તે જ પ્રમાણે અહીં સમ્યક્ત્વમાર્ગણામાં મિથ્યાત્વ
કહ્યું છે, પણ ત્યાં મિથ્યાત્વને સમ્યક્ત્વનો ભેદ ન સમજવો. સમ્યક્ત્વની અપેક્ષાએ વિચાર કરતાં
કેટલાક જીવોને સમ્યક્ત્વના અભાવથી મિથ્યાત્વ હોય છે એવો અર્થ પ્રગટ કરવા અર્થે