તમે કહ્યું કે — ‘‘તે કેમ સંભવે?’’ પણ અનાદિથી જેમ કોઈ જુદાં દ્રવ્યો છે તેમ કોઈ મળી રહેલાં
દ્રવ્યો પણ છે; એટલે એવા સંભવમાં કોઈ વિરોધ તો ભાસતો નથી.
પ્રશ્નઃ — સંબંધ વા સંયોગ કહેવો તો ત્યારે જ સંભવે કે જ્યારે પહેલાં જુદાં
હોય, અને પછી મળ્યાં હોય, પણ અહીં અનાદિકાળથી મળેલાં જીવ અને કર્મોનો સંબંધ
કેમ કહ્યો?
ઉત્તરઃ — અનાદિથી તો મળેલાં હતાં, પણ પાછળથી જુદાં થયાં ત્યારે જાણ્યું કે —
જુદાં હતાં તો જુદાં થયાં. માટે પહેલાં પણ જુદાં જ હતાં. એ પ્રમાણે અનુમાન વડે વા
કેવળજ્ઞાનવડે તે પ્રત્યક્ષ ભિન્ન ભાસે છે; એ વડે તેઓનું બંધાન હોવા છતાં પણ ભિન્નપણું જણાય
છે. એ ભિન્નતાની અપેક્ષાએ તેઓનો સંબંધ વા સંયોગ કહ્યો છે. કારણ નવા મળો વા મળેલા
જ હો, પરંતુ ભિન્ન દ્રવ્યોના મેળાપમાં એમ જ કહેવું સંભવે છે. એ પ્રમાણે જીવ અને કર્મનો
અનાદિ સંબંધ છે.
✾ જીવ અને કર્મોની ભિન્નતા ✾
હવે જીવદ્રવ્ય તો દેખવા – જાણવારૂપ ચૈતન્યગુણનું ધારક છે; ઇન્દ્રિયગમ્ય ન હોવા યોગ્ય
અમૂર્તિક છે, તથા સંકોચ – વિસ્તારશક્તિસહિત અસંખ્યાતપ્રદેશી એક દ્રવ્ય છે. તથા કર્મ
ચેતનાગુણરહિત જડ, મૂર્તિક અને અનંત પુદ્ગલપરમાણુઓનો પુંજ છે; માટે તે એક દ્રવ્ય નથી.
એ પ્રમાણે એ જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે તોપણ જીવનો કોઈ પ્રદેશ કર્મરૂપ થતો નથી,
તથા કર્મનો કોઈ પરમાણુ જીવરૂપ થતો નથી પણ પોતપોતાના લક્ષણને ધરી બંને જુદાં જુદાં
જ રહે છે. જેમ સુવર્ણ અને રૂપાનો એક સ્કંધ હોવા છતાં પીતાદિ ગુણોને ધરી સુવર્ણ જુદું
જ રહે છે તથા શ્વેતાદિ ગુણોને ધરી રૂપું જુદું જ રહે છે તેમ એ બન્ને જુદાં જાણવાં.
✾ અમૂર્તિક આત્માથી મૂર્તિક કર્મોનો બંધા કેવી રીતે થાય છે ✾
પ્રશ્નઃ — મૂર્તિક મૂર્તિકનું તો બંધાન થવું બને, પણ અમૂર્તિક અને મૂર્તિકનું
બંધાન કેમ બને?
ઉત્તરઃ — જેમ વ્યક્ત – ઇન્દ્રિયગમ્ય નથી એવા સૂક્ષ્મ પુદ્ગલો તથા વ્યક્ત – ઇન્દ્રિયગમ્ય
એવા સ્થૂલ પુદ્ગલોનું બંધાન હોવું માનીએ છીએ તેમ ઇન્દ્રિયગમ્ય ન હોવા યોગ્ય એવો
અમૂર્તિક આત્મા તથા ઇન્દ્રિયગમ્ય હોવા યોગ્ય મૂર્તિક કર્મો — એ બંનેનું પણ બંધાન છે એમ
માનવું. વળી એ બંધાનમાં કોઈ કોઈને કર્તા તો છે નહિ, જ્યાં સુધી બંધાન રહે ત્યાં સુધી
એ બંનેનો સાથ રહે, પણ છૂટા પડે નહિ; તથા પરસ્પર કાર્ય – કારણપણું તેઓને બન્યું રહે
એટલું જ અહીં બંધાન જાણવું. હવે મૂર્તિક – અમૂર્તિકનું એ પ્રમાણે બંધાન થવામાં કોઈ વિરોધ
નથી. એ પ્રમાણે જેમ એક જીવને અનાદિ કર્મસંબંધ કહ્યો તે જ પ્રમાણે જુદા જુદા અનંત
જીવોને પણ સમજવો.
બીજો અધિકારઃ સંસાર-અવસ્થા નિરૂપણ ][ ૨૭