પ્રવર્તતાં અન્યથા પ્રવર્તે છે. એ પ્રમાણે એ મિથ્યાદર્શનાદિક છે તે જ સર્વ દુઃખોનું મૂળ કારણ
છે. એ કેવી રીતે? તે અહીં કહીએ છીએ.
✾ મિથ્યાત્વનું સ્વરુપ ✾
મિથ્યાદર્શનાદિકથી જીવને સ્વ-પરનો વિવેક થઈ શકતો નથી. પોતે એક આત્મા તથા
અનંત પુદ્ગલપરમાણુમય શરીર — એના સંયોગરૂપ મનુષ્યાદિક પર્યાય નીપજે છે તે પર્યાયને જ
પોતાનું સ્વરૂપ માને છે. આત્માના જ્ઞાન – દર્શનાદિ સ્વભાવ છે તે વડે કિંચિત્ જાણવું – દેખવું થાય
છે, કર્મઉપાધિથી થયેલા ક્રોધાદિભાવરૂપ પરિણમન થાય છે, અને શરીરનો સ્પર્શ, રસ, ગંધ,
વર્ણ સ્વભાવ છે તે પ્રગટ છે તથા સ્થૂલ – કૃષાદિક – સ્પર્શાદિક પલટવારૂપ અનેક અવસ્થાઓ થાય
છે તે સર્વને પોતાનું સ્વરૂપ જાણે છે. જ્ઞાન – દર્શનની પ્રવૃત્તિ ઇન્દ્રિય અને મન દ્વારા થાય છે,
તેથી આ જીવ માને છે કે – ત્વચા, જીભ, નાસિકા, નેત્ર, કાન અને મન એ બધા મારાં અંગ
છે, એ વડે હું દેખું – જાણું છું, એવી માન્યતાથી ઇન્દ્રિયોમાં પ્રીતિ હોય છે.
✾ મોહજનિત વિષયઅભિલાષા ✾
મોહના આવેશથી તે ઇન્દ્રિયો દ્વારા વિષય ગ્રહણ કરવાની ઇચ્છા થાય છે, ત્યાં એ
વિષયોનું ગ્રહણ થતાં એ ઇચ્છા મટવાથી નિરાકુલ થાય છે એટલે આનંદ માને છે. જેમ કૂતરો
હાડ ચાવવાથી પોતાનું લોહી નીકળે તેનો સ્વાદ લઈ એમ માનવા લાગે કે ‘‘આ હાડનો સ્વાદ
આવે છે,’’ તેમ આ જીવ વિષયોને જાણે છે તેથી પોતાનું જ્ઞાન પ્રવર્તે છે તેનો સ્વાદ લઈ એમ
માનવા લાગે કે ‘‘આ વિષયનો સ્વાદ છે,’’ પણ વિષયમાં તો સ્વાદ છે જ નહિ. પોતે જ ઇચ્છા
કરી હતી તેને પોતે જ જાણી પોતે જ આનંદ માન્યો, પરંતુ ‘‘હું અનાદિ-અનંત જ્ઞાનસ્વરૂપ આત્મા
છું’’ એવો નિઃકેવલ (પરથી કેવળ ભિન્ન) જ્ઞાનનો અનુભવ છે જ નહિ. પરંતુ ‘‘ મેં નૃત્ય દીઠું,
રાગ સાંભળ્યો, ફૂલ સૂંઘ્યું, પદાર્થ સ્પર્શ્યો, સ્વાદ જાણ્યો તથા મેં શાસ્ત્ર જાણ્યાં, મારે આ જાણવું
જોઈએ’’ એ પ્રકારના જ્ઞેયમિશ્રિત જ્ઞાનના અનુભવવડે વિષયોની તેને પ્રધાનતા ભાસે છે. એ
પ્રમાણે મોહના નિમિત્તથી આ જીવને વિષયોની ઇચ્છા હોય છે.
હવે ઇચ્છા ત્રિકાલવર્તી સર્વ વિષયોને ગ્રહણ કરવાની છે કે ‘‘હું સર્વને સ્પર્શું, સર્વને
સ્વાદું, સર્વને સૂંઘું, સર્વને દેખું, સર્વને સાંભળું અને સર્વને જાણું.’’ એટલી બધી ઇચ્છા હોવા
છતાં શક્તિ તો એટલી જ છે કે – ઇન્દ્રિયોના સન્મુખ થયેલા વર્તમાન સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને
શબ્દમાંથી કોઈને કિંચિત્માત્ર ગ્રહણ કરે વા સ્મરણાદિકવડે મનથી કિંચિત્ જાણે, અને તે પણ
બાહ્ય અનેક કારણ મળતાં જ સિદ્ધ થાય. તેથી કોઈ કાળે એની ઇચ્છા પૂર્ણ થતી નથી. કારણ
કે એવી ઇચ્છા તો કેવળજ્ઞાન થતાં જ સંપૂર્ણ થાય પણ ક્ષયોપશમરૂપ ઇન્દ્રિયદ્વારા તો કદી પણ
ઇચ્છા પૂર્ણ થાય નહિ, અને તેથી મોહના નિમિત્તથી એ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયગ્રહણની
નિરંતર ઇચ્છા રહ્યા જ કરવાથી આ જીવ આકુલ – વ્યાકુલ બની દુઃખી થઈ રહ્યો છે.
૪૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક