અ. ૧. પરિ. ૧] [૧૦૯
ઉત્તરઃ– એ ત્રણે શબ્દોનો અર્થ આત્માની આત્મામાં સ્થિરતા એવો થાય છે, અને તે ચારિત્રગુણનો પર્યાય છે માટે પ્રશ્નમાં કહેવામાં આવેલો અર્થ ઘટતો નથી, પણ અવિનાભાવી સંબંધથી તેને સમ્યગ્દર્શનનું લક્ષણ કહી શકાય.
(૮) પ્રશ્નઃ– પૂર્ણ શુદ્ધાત્માની અનુભૂતિ ૧૩-૧૪ ગુણસ્થાને તથા સિદ્ધોને હોય છે તેથી પૂર્ણ સમ્યગ્દર્શન પણ ત્યાં થાય છે-એ બરાબર છે? એટલે કે તે પૂર્વનાં જેટલાં સમ્યગ્દર્શન છે તે સમ્યગ્દર્શન પૂર્ણ નથી એ બરાબર છે?
ઉત્તરઃ– સિદ્ધ ભગવાનનું સમ્યગ્દર્શન અને તિર્યંચનું સમ્યગ્દર્શન વિષયઅપેક્ષાએ એક સરખું હોય છે એટલે કે આત્માને જેવો સિદ્ધ ભગવાન માને છે તેવો જ સમ્યગ્દ્રષ્ટિ તિર્યંચ માને છે, તેમાં લેશમાત્ર ફેર નથી. સમ્યગ્દ્રષ્ટિ તિર્યંચ પોતાના આત્માને એક પ્રકારે માને અને સિદ્ધ ભગવાન કોઈ બીજા પ્રકારે માને એમ બની શકે નહિ. પરંતુ પર્યાયમાં ફેર છે. સમ્યગ્દર્શન-પર્યાયની પૂર્ણતા કેવળજ્ઞાન થતાં પ્રગટે છે. તે અપૂર્ણતાનું ઉપાદાનકારણ સંસ્કારવશપણું છે. અને નિમિત્ત લેવું હોય તો ચારિત્રમોહનીય તથા ઘાતિકર્મના ઉદયને ઉપચારથી લેવાય છે. આ સંબંધે તત્ત્વાર્થસારમાં પૃષ્ઠા-૩૦૪ માં આ પ્રમાણે કહ્યું છે, “અથવા એ કહેવું જોઈએ કે ચારિત્રમોહનીય, મિથ્યાત્વના અભાવમાં રહે તો છે પરંતુ જ્યાં સુધી ચારિત્રમોહનીય રહે છે ત્યાં સુધી સમ્યક્ત્વની પણ પૂર્તિ થતી નથી- ક્ષાયિક સમ્યક્ત્વ પણ ‘કેવળસમ્યક્ત્વ’નામ પામતું નથી, -કે જે રત્નયત્રની પૂર્ણતાનું એક ચિહ્ન છે. ભાવાર્થઃ– કાંઈક સંસ્કારવશ હો યા ચારિત્રમોહના સંબંધથી હો, ચારિત્રમોહનીય તથા ઘાતિકર્મો રહે છે ત્યાં સુધી સમ્યક્ત્વ પૂર્ણ થતું નથી.” વળી જુઓ શ્લોકવાર્તિક પાનું ૬૮-૬૯.
આ પ્રકારે પૂર્ણતામાં અનેકાંત છે. નીચલાં ગુણસ્થાનોમાં વિષયઅપેક્ષાએ સમ્યગ્દર્શન પૂર્ણ છે, પણ પર્યાય અપેક્ષાએ અપૂર્ણ છે. સિદ્ધ ભગવાનને વિષય અને પર્યાય બન્ને અપેક્ષાએ સમ્યગ્દર્શનની પૂર્ણતા છે.
પ્રશ્નઃ– સમ્યક્ત્વગુણ સર્વથા ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિને થયો છે કે નથી થયો? તેનું સમાધાન કહો. (પ્રશ્નકારની દલીલ) જો કહેશો કે સર્વથા થયો છે તો (તેને) સિદ્ધ કહો, શાથી? કે એક ગુણ સર્વથા વિમળ થતાં સર્વ શુદ્ધ થાય, સમ્યક્ગુણ સર્વ ગુણોમાં ફેલાયેલો છે તેથી સમ્યગ્જ્ઞાન-સમ્યગ્દર્શન બધા ગુણ સમ્યક્ થયા પણ સર્વથા સમ્યગ્જ્ઞાન નથી- એકદેશ સમ્યગ્જ્ઞાન છે. સર્વથા જ્ઞાન સમ્યક્ હોય તો સર્વથા ગુણ શુદ્ધ હોય તેથી સર્વથા કહેતા નથી; વળી જો કિંચિત્ સમ્યક્ત્વગુણ શુદ્ધ કહીએ તો સમ્યક્ત્વગુણનું ઘાતક મિથ્યાત્વ-અનંતાનુબંધી કર્મ હતું તે તો રહ્યું. જે ગુણનું આવરણ જાય તે ગુણ શુદ્ધ હોય માટે કિંચિત્ શુદ્ધ પણ બનતું નથી. તો કેવી રીતે છે?