૧૩૮ ] [ મોક્ષશાસ્ત્ર ઝંખના હોય. માત્ર શ્રુતજ્ઞાન સાંભળ્યા જ કરવું એમ કહ્યું નથી પરંતુ શ્રુતજ્ઞાન દ્વારા આત્માનો નિર્ણય કરવો. શ્રુતના અવલંબનની ધૂન ચડતાં ત્યાં દેવ, ગુરુ, શાસ્ત્ર, ધર્મ, નિશ્ચય, વ્યવહાર વગેરે અનેક પડખાંથી વાતો આવે તે બધાં પડખાં જાણીને એક જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કરવો જોઈએ. આમાં ભગવાન કેવા, તેમનાં શાસ્ત્રો કેવાં અને તેઓ શું કહે છે એ બધાનું અવલંબને એમ નિર્ણય કરાવે છે કે તું જ્ઞાન છો, આત્મા જ્ઞાનસ્વરૂપી જ છે. જ્ઞાન સિવાય બીજું કાંઈ તે કરી શકતો નથી.
દેવ-ગુરુ-શાસ્ત્ર કેવાં હોય અને તે દેવ-ગુરુ-શાસ્ત્રને ઓળખીને તેમનું અવલંબન લેનાર પોતે શું સમજ્યો હોય તે આમાં બતાવ્યું છે. ‘તું જ્ઞાનસ્વભાવી આત્મા છો, તારો સ્વભાવ જાણવાનો જ છે. કાંઈ પરનું કરવું કે પુણ્ય-પાપના ભાવ કરવા તે તારું સ્વરૂપ નથી’-આમ જે બતાવતાં હોય તે સાચાં દેવ-ગુરુ-શાસ્ત્ર છે, અને આ પ્રમાણે જે સમજે તે જ દેવ-ગુરુ-શાસ્ત્રના અવલંબને શ્રુતજ્ઞાનને સમજ્યો છે. પણ જે રાગથી ધર્મ મનાવતા હોય, શરીરાશ્રિત ક્રિયા આત્મા કરે એમ મનાવતા હોય, જડ કર્મ આત્માને હેરાન કરે એમ કહેતા હોય તે કોઈ દેવ-ગુરુ-શાસ્ત્ર સાચાં નથી.
જે શરીરાદિ સર્વ પરથી ભિન્ન જ્ઞાનસ્વભાવી આત્માનું સ્વરૂપ બતાવતાં હોય અને પુણ્ય-પાપનું કર્તવ્ય આત્માનું નથી એમ બતાવતાં હોય તે જ સત્શ્રુત છે, તે જ સાચા દેવ છે અને તે જ સાચા ગુરુ છે. જે પુણ્યથી ધર્મ બતાવે, શરીરની ક્રિયાનો કર્તા આત્મા છે એમ બતાવે અને રાગથી ધર્મ બતાવે તે બધા કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર છે; કેમકે તેઓ જેમ છે તેમ વસ્તુસ્વરૂપના જાણકાર નથી પણ ઊલટું સ્વરૂપ બતાવે છે. વસ્તુસ્વરૂપ જેમ છે તેમ ન બતાવે અને જરાપણ વિરુદ્ધ બતાવે તે કોઈ દેવ, કોઈ ગુરુ કે કોઈ શાસ્ત્ર સાચાં નથી.
‘હું આત્મા તો જ્ઞાયક છું, પુણ્ય-પાપની વૃત્તિઓ મારું જ્ઞેય છે, તે મારા જ્ઞાનથી જુદી છે’ આમ પહેલાં વિકલ્પ દ્વારા દેવ-ગુરુ-શાસ્ત્રના અવલંબને યથાર્થ નિર્ણય કરવો; આ તો હજી જ્ઞાનસ્વભાવનો અનુભવ થયો નથી ત્યાર પહેલાંની વાત છે. જેણે સ્વભાવના લક્ષે શ્રુતનું અવલંબન લીધું છે તે અલ્પકાળમાં આત્મ-અનુભવ કરશે જ. પ્રથમ વિકલ્પમાં એમ નક્કી કર્યું કે પરથી તો હું જુદો, પુણ્ય-પાપ પણ મારું સ્વરૂપ નહિ, મારા શુદ્ધ સ્વભાવ સિવાય દેવ-ગુરુ-શાસ્ત્રનું પણ અવલંબન પરમાર્થે નહિ, હું તો સ્વાધીન જ્ઞાનસ્વભાવી છું; આમ જેણે નિર્ણય કર્યો તેને અનુભવ થયા વગર રહેશે જ નહિ.