પ્રથમ અધ્યાયમાં, સમ્યગ્દર્શનના વિષયનો ઉપદેશ આપતાં શરૂઆતમાં [અ. ૧ સૂ. ૪ માં] જીવાદિક તત્ત્વો કહ્યાં, તેમાંથી જીવતત્ત્વના ભાવો, તેનું લક્ષણ અને શરીર સાથેના સંબંધનું આ બીજા અધ્યાયમાં વર્ણન છે; પ્રથમ જીવના સ્વતત્ત્વ (નિજભાવ) બતાવવા સૂત્ર કહે છે.
[भावौ] ભાવ [च मिश्र] અને મિશ્ર તથા [औदयिकपारिणामिकौ च] ઔદયિક અને પારિણામિક એ પાંચ ભાવો [स्व–तत्त्वम्] નિજભાવ છે અર્થાત્ જીવ સિવાય બીજા કોઈમાં હોતા નથી.
૧. ઔપશમિકભાવ– આત્માના પુરુષાર્થથી અશુદ્ધતાનું પ્રગટ ન થવું અર્થાત્ દબાઈ જવું તે; આત્માના આ ભાવને ઉપશમભાવ અથવા ઔપશમિકભાવ કહે છે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને જડ કર્મનું પ્રગટરૂપ ફળ જડકર્મમાં ન આવવું તે કર્મનો ઉપશમ છે. આ, જીવનો એક સમય પૂરતો પર્યાય છે, તે સમય-સમય કરીને અંતર્મુહૂર્ત રહે છે પણ એક સમયે એક જ અવસ્થા હોય છે.
ર. ક્ષાયિકભાવ– આત્માના પુરુષાર્થથી કોઈ ગુણની શુદ્ધ અવસ્થા પ્રગટે તે ક્ષાયિકભાવ છે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામી કર્મઆવરણનો નાશ થવો તે કર્મનો ક્ષય છે. આ પણ જીવની એક સમય પૂરતી અવસ્થા છે. સમય સમય કરીને તે સાદિ અનંત રહે છે તો પણ એક સમયે એક જ અવસ્થા હોય છે. સાદિઅનંત અમૂર્ત અતીન્દ્રિયસ્વભાવવાળા કેવળજ્ઞાન-કેવળદર્શન-કેવળસુખ-કેવળવીર્યયુક્ત ફળરૂપ અનંત-