Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 710

 

[૩૪] ૧–“હવે મૂઢ તથા જ્ઞાની જીવનું વિશેષપણું અન્ય પણ સાંભળો.”

જ્ઞાતા તો મોક્ષમાર્ગ સાધી જાણે, પરંતુ મૂઢ મોક્ષમાર્ગ સાધી જાણે નહિ. શા માટે? તે સાંભળો-મૂઢ જીવ આગમપદ્ધતિને વ્યવહાર કહે છે અને અધ્યાત્મપદ્ધતિને નિશ્ચય કહે છે તેથી તે આગમ અંગને એકાંતપણે સાધીને તેને મોક્ષમાર્ગ બતાવે છે. અધ્યાત્મઅંગને વ્યવહારથી પણ જાણે નહિ એવો મૂઢદ્રષ્ટિ જીવનો સ્વભાવ છે, તેને (મૂઢને) આ પ્રમાણે સૂજે જ ક્યાંથી? કારણ કે- આગમ અંગ બાહ્યક્રિયારૂપ પ્રત્યક્ષ પ્રમાણ છે, તેનું સ્વરૂપ સાધવું તેને સુગમ છે, તે બાહ્ય ક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે, પરંતુ અંતર્ગર્ભિત અધ્યાત્મરૂપ ક્રિયા જે અંતર્દ્રષ્ટિગ્રાહ્ય છે તે ક્રિયાને મૂઢ જીવ જાણે નહીં, કારણ-અંતર્દ્રષ્ટિના અભાવથી અંતરક્રિયા દ્રષ્ટિગોચર આવે નહિ; માટે મિથ્યાદ્રષ્ટિ જીવ મોક્ષમાર્ગને સાધવાને અસમર્થ છે.”

ર. હવે સમ્યગ્દ્રષ્ટિનો વિચાર સાંભળો

“સમ્યગ્દ્રષ્ટિ કોણ કહેવાય તે સાંભળોઃ- સંશય, વિમોહ, વિભ્રમ એ ત્રણ ભાવ જેનામાં નથી તે સમ્યગ્દ્રષ્ટિ. સંશય, વિમોહ અને વિભ્રમ શું છે તેનું સ્વરૂપ દ્રષ્ટાન્તથી બતાવીએ છીએ તે સાંભળો, જેમ કોઈ સ્થાનમાં ચાર માણસો ઊભા હતા. તે બધાયની સામે બીજા એક માણસે સીપનો કટકો લાવી બતાવ્યો. પછી દરેકને પૂછયું કે આ શું છે? સીપ છે કે રૂપું છે? ત્યાં એકે-જેના મનમાં સંશય હતો તેણે કહ્યું મને તો કાંઈ ખબર પડતી નથી કે આ સીપ છે કે રૂપું? મારી દ્રષ્ટિમાં તો એનો કશો નિર્ણય થતો નથી. ત્યારે બીજો વિમોહવાળો બોલ્યો કે મને તો એ જ નથી સમજાતું કે તમે સીપ કોને કહો છો અને રૂપું કોને કહો છો? મારી દ્રષ્ટિમાં તો કશું જ આવતું નથી તેથી હું નથી જાણતો કે તમે શું કહેવા માગો છો! અથવા તે ચૂપ રહે, ઘેલછાથી બોલે નહીં. હવે ત્રીજો વિભ્રમવાળો પુરુષ બોલ્યો કે આ તો પ્રત્યક્ષ પ્રમાણ રૂપું છે, આને સીપ કોણ કહી શકે? મારી દ્રષ્ટિમાં તો આ રૂપું જ દેખાય છે માટે સર્વ પ્રકારે આ રૂપું છે. પરંતુ તે ત્રણેય પુરુષોએ તો સીપના સ્વરૂપને જાણ્યું નહીં. તેથી તે ત્રણેય મિથ્યાવાદી છે. હવે ચોથો પુરુષ બોલ્યો કે-આ તો પ્રત્યક્ષ પ્રમાણ સીપનો કટકો છે તેમાં સંશય શો? સીપ, સીપ, સીપ, ચોક્કસ સીપ છે. જો કોઈ આને અન્ય _________________________________________________________________

૧. આગમ પદ્ધતિ બે પ્રકારે છે - (૧) ભાવરૂપ-પુદ્ગલાકાર આત્માની અશુદ્ધ પરિણતિરૂપ અર્થાંત્ અવ્રતાદિના અશુભ પરિણામ તથા દયા, દાન, પૂજા, અનુકંપા, અણુવ્રત- મહાવ્રત, મુનિના ર૮ મૂલગુણોનું પાલનાદિ શુભભાવરૂપ જીવના મલિન પરિણામ અને (ર) દ્રવ્યરૂપ પુદ્ગલપરિણામ.

ર. અંતર્દ્રષ્ટિ વડે મોક્ષમાર્ગને સાધવો તે અધ્યાત્મ અંગનો વ્યવહાર છે. મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર અને શુદ્ધદ્રવ્ય અક્રિયારૂપ તે નિશ્ચય.