Moksha Shastra (Gujarati). Sutra: 13 (Chapter 6).

< Previous Page   Next Page >


Page 413 of 655
PDF/HTML Page 468 of 710

 

૪૧૨ ] [ મોક્ષશાસ્ત્ર

બાળતપ = મિથ્યાદ્રષ્ટિને મંદ કષાયભાવે થતાં તપ.
૪. આ સૂત્રમાં
‘इति’ શબ્દ છે. તેમાં અર્હન્તનું પૂજન, બાળ, વૃદ્ધ કે તપસ્વી

મુનિઓની વૈયાવૃત્ય કરવામાં ઉદ્યમી રહેવું, યોગની સરળતા અને વિનયનો સમાવેશ થઈ જાય છે.

યોગ– શુભપરિણામ સહિતની નિર્દોષ ક્રિયા વિશેષને યોગ કહે છે. ક્ષાન્તિ– શુભપરિણામની ભાવનાથી ક્રોધાદિ કષાયમાં થતી તીવ્રતાના અભાવને ક્ષાન્તિ (ક્ષમા) કહે છે.

શૌચ–શુભપરિણામપૂર્વક લોભનો ત્યાગ તે શૌચ. વીતરાગી-નિર્વિકલ્પ ક્ષમા અને શૌચને ‘ઉત્તમક્ષમા’ અને ‘ઉત્તમશૌચ’ કહે છે; તે આસ્રવનું કારણ નથી.।। ૧૨।।

હવે અનંત સંસારનું કારણ જે દર્શનમોહ તેના આસ્રવનું કારણ કહે છે
केवलिश्रुतसंघधर्मदेवावर्णवादो दर्शनमोहस्य।। १३।।

અર્થઃ– [केवली श्रुत संघ धर्म देव] કેવળી, શ્રુત, સંઘ, ધર્મ, અને દેવનો [अवर्णवादः] અવર્ણવાદ કરવો તે [दर्शनमोहस्य] દર્શનમોહનીય કર્માઆસ્રવનાં કારણો છે.

ટીકા

૧. અવર્ણવાદઃ– જેનામાં જે દોષ ન હોય તેનામાં તે દોષનું આરોપણ કરવું તે અવર્ણવાદ છે.

કેવળીપણું, મુનિપણું, ધર્મ અને દેવપણું તે આત્માની જ જુદી જુદી અવસ્થાઓનું સ્વરૂપ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ પાંચે પદ નિશ્ચયથી આત્મા જ છે, (જુઓ, યોગીન્દ્રદેવકૃત યોગસાર ગાથા ૧૦૪, પરમાત્મ- પ્રકાશ પા. ૩૯૩-૩૯૪). તેથી તેમનું સ્વરૂપ સમજવામાં જો ભુલ થાય અને તેમનામાં ન હોય તેવા દોષો તેમનામાં કલ્પવામાં આવે તો આત્માનું સ્વરૂપ સમજાય નહિ અને મિથ્યાત્વભાવનું વિશેષ પોષણ થાય. ધર્મ તે આત્માનો સ્વભાવ છે માટે ધર્મસંબંધી જુઠ્ઠી દોષ કલ્પના કરવી તે પણ મહાન દોષ છે.

ર. શ્રુત એટલે શાસ્ત્ર; જિજ્ઞાસુ જીવોને આત્માનું સ્વરૂપ સમજવામાં તે નિમિત્ત છે, તેથી મુમુક્ષુઓએ ખરા શાસ્ત્રોના સ્વરૂપનો પણ નિર્ણય કરવો જોઈએ.