Moksha Shastra (Gujarati). Sutra: 28-29 (Chapter 9).

< Previous Page   Next Page >


Page 580 of 655
PDF/HTML Page 635 of 710

 

અ. ૯ સૂત્ર ૨૮-૨૯ ] [ પ૮૧

૬. આ સૂત્રનો એવો અર્થ પણ થઈ શકે છે કે, જે જ્ઞાન ચળાચળતા રહિત અચલ પ્રકાશવાળું અથવા દેદિપ્યમાન થાય છે તે ધ્યાન છે. ।। ૨૭।।

ધ્યાનના ભેદ
आर्त्तरौद्रधर्म्यशुक्लानि।। २८।।

અર્થઃ– [आर्त रौद्र धर्म्य शुक्लानि] આર્ત્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ- એ ચાર ભેદ ધ્યાનના છે.

ટીકા

પ્રશ્નઃ– આ સંવર-નિર્જરાનો અધિકાર છે અને અહીં નિર્જરાના કારણોનું વર્ણન ચાલે છે. આર્ત્ત અને રૌદ્રધ્યાન તો બંધનાં કારણ છે, તો તેને અહીં કેમ લીધા?

ઉત્તરઃ- નિર્જરાના કારણરૂપ જે ધ્યાન છે તેનાથી આ ધ્યાનને જુદાં બતાવીને, ધ્યાનના બધા પ્રકારો સમજાવ્યા છે.

આર્ત્તધ્યાન- દુઃખ-પીડા વિષે ચિંતવન. રૌદ્રધ્યાન- નિર્દય-ક્રૂર આશયનું ચિંતવન. ધર્મધ્યાન- ધર્મસહિત ચિંતવન. શુક્લધ્યાન- શુદ્ધ પવિત્ર ઉજ્જ્વળ પરિણામવાળું ચિંતવન. આ ચાર ધ્યાનોમાં પહેલા બે અશુભ છે અને બીજાં બે ધર્મરૂપ છે. ।। ૨૮।।

મોક્ષના કારણરૂપ ધ્યાન
परे मोक्षहेतू।। २९।।

અર્થઃ– [परे] જે ચાર પ્રકારનાં ધ્યાન કહ્યાં તેમાંથી પાછળનાં બે અર્થાત્ ધર્મ અને શુક્લધ્યાન [मोक्षहेतू] મોક્ષનાં કારણ છે.

ટીકા

પહેલાં બે-આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન-સંસારનાં કારણ છે અને ધર્મ તથા શુક્લધ્યાન મોક્ષનાં કારણ છે.

પ્રશ્નઃ– છેલ્લાં બે ધ્યાન મોક્ષનાં કારણ છે એ તો સૂત્રમાં કહ્યું છે; પરંતુ પહેલાં બે ધ્યાન સંસારનું કારણ છે એવો અર્થ સૂત્રમાંથી શી રીતે કાઢયો?

ઉત્તરઃ- મોક્ષ અને સંસાર એ બે સિવાય વચલો કોઈ સાધવા યોગ્ય પદાર્થ નથી.