પ૮૮ ] [ મોક્ષશાસ્ત્ર
શંકા–ક્ષપક (-ક્ષપકશ્રેણીવાળા) અને ઉપશમક (-ઉપશમશ્રેણીવાળા) જીવોને સત્યમનોયોગ અને અનુભવમનોયોગનો સદ્ભાવ ભલે હો, પણ બાકીનાં બે- અસત્યમનોયોગ અને ઉભયમનોયોગનો સદ્ભાવ શી રીતે છે? કેમ કે તે બન્નેમાં રહેવાવાળો અપ્રમાદ તે અસત્ય અને ઉભયમનોયોગના કારણભૂત પ્રમાદનો વિરોધી છે અર્થાત્ ક્ષપક અને ઉપશમક પ્રમાદરહિત હોય છે, માટે તેને અસત્યમનોયોગ અને ઉભયમનોયોગ કઈ રીતે હોય?
સમાધાનઃ– આવરણ કર્મયુક્ત જીવોને વિપર્યય અને અનધ્યવસાયરૂપ અજ્ઞાનના કારણભૂત મનનો સદ્ભાવ માનવામાં અને તેથી અસત્ય તથા ઉભયમનોયોગ માનવામાં કાંઈ વિરોધ નથી; પરંતુ તે કારણે ક્ષપક અને ઉપશમક જીવો પ્રમત્ત માની શકાય નહિ, કેમ કે પ્રમાદ મોહનો પર્યાય છે.
નોંધઃ– સમનસ્ક (-મનસહિત) જીવોને જ્ઞાનની ઉત્પત્તિ મનોયોગથી થાય છે-એમ માનવામાં દોષ છે. કેમ કે એમ માનવામાં કેવળજ્ઞાનથી વ્યભિચાર આવે છે પણ સમનસ્ક જીવોને ક્ષાયોપશમિકજ્ઞાન થાય છે તેમાં મનોયોગ નિમિત્ત છે-એ વાત સાચી છે. બધાં વચનો થવામાં મન નિમિત્ત છે એમ માનવામાં દોષ છે, કેમ કે એમ માનવાથી કેવળીભગવાનને મન નિમિત્ત નથી તેથી તેમને વચનનો અભાવ થશે.
પ. ક્ષપક અને ઉપશમક જીવોના વચનયોગ સંબંધી
શંકાઃ– જેમને કષાય ક્ષીણ થઈ ગયા છે તે જીવોને અસત્યવચનયોગ કેમ હોઈ શકે?
સમાધાનઃ– અસત્યવચનનું કારણ અજ્ઞાન છે, તે બારમા ગુણસ્થાન સુધી હોય છે, તે અપેક્ષાએ અસત્યવચનનો સદ્ભાવ બારમા ગુણસ્થાન સુધી હોય છે; અને તેથી ઉભયસંયોગજ સત્યમૃષાવચન પણ બારમા ગુણસ્થાન સુધી હોય છે, તેમાં કાંઈ વિરોધ નથી.
શંકાઃ– વચનગુપ્તિનું પૂરી રીતે પાલન કરનારા કષાયરહિત જીવોને વચનયોગ કેમ સંભવે?
સમાધાનઃ– કષાયરહિત જીવોમાં અન્તર્જલ્પ હોવામાં કાંઈ વિરોધ નથી.