Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 28 of 655
PDF/HTML Page 83 of 710

 

અ. ૧ સૂત્ર ૬] [૨પ સમ્યક્ત્વ થાય છે, માટે તેનું શ્રદ્ધાન કરવું. એ બન્ને નયોને સમકક્ષી (સરખી હદના) માનવા તે મિથ્યાત્વ છે.

(૧પ) વ્યવહાર અને નિશ્ચયનું ફળ

વીતરાગે કહેલો વ્યવહાર અશુભમાંથી બચાવી જીવને શુભભાવમાં લઈ જાય છે; તેનું દ્રષ્ટાંત દ્રવ્યલિંગી મુનિ છે; તે ભગવાને કહેલાં વ્રત વગેરે નિરતિચાર પાળે છે અને તેથી શુભભાવ વડે નવમી ગ્રૈવેયકે જાય છે, પણ તેનો સંસાર ઊભો રહે છે; અને ભગવાને કહેલો નિશ્ચય શુભ અને અશુભ બન્નેથી બચાવી જીવને શુદ્ધભાવમાં-મોક્ષમાં લઈ જાય છે, તેનું દ્રષ્ટાંત સમ્યગ્દ્રષ્ટિ છે કે જે નિયમા (ચોક્કસ) મોક્ષ પ્રાપ્ત કરે છે.

(૧૬) શાસ્ત્રોમાં બન્ને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે તે કઈ રીતે?

જૈન શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિઃ- જૈનશાસ્ત્રોમાં વસ્તુનું સ્વરૂપ સમજાવવાના બે પ્રકાર છેઃ નિશ્ચયનય અને વ્યવહારનય.

(૧) નિશ્ચયનય એટલે કે વસ્તુ સત્યાર્થપણે જેમ હોય તેમ જ કહેવું તે; માટે નિશ્ચયનયની મુખ્યતાથી જ્યાં કથન હોય ત્યાં તેને તો ‘સત્યાર્થ એમ જ છે’ એમ જાણવું અને-

(ર) વ્યવહારનય એટલે કે વસ્તુ સત્યાર્થપણે તેમ ન હોય પણ પર વસ્તુ સાથેનો સંબંધ બતાવવા માટે કથન હોય-જેમકે ‘ઘીનો ઘડો.’ ઘડો તે ઘીનો નથી પણ માટીનો છે, છતાં ઘી અને ઘડો બન્ને એક જગ્યાએ રહેલાં છે તેટલું બતાવવા તેને ‘ઘીનો ઘડો’ કહેવામાં આવે છે; એ રીતે જ્યાં વ્યવહારથી કથન હોય ત્યાં ‘ખરેખર તેમ નથી પણ નિમિત્તાદિ બતાવવા માટે ઉપચારથી તે કથન છે’ એમ સમજવું.

બન્ને નયોના કથનને સત્યાર્થ જાણવું અર્થાત્ ‘આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે’ એમ માનવું તે ભ્રમ છે. માટે નિશ્ચય કથનને સત્યાર્થ જાણવું અને વ્યવહારકથનને સત્યાર્થ ન જાણવું, પણ નિમિત્તાદિ બતાવનારૂં તે કથન છે-એમ સમજવું.

આ પ્રમાણે બન્ને નયોના કથનનો અર્થ કરવો તે બન્ને નયોનું ગ્રહણ છે. બન્નેને આદરવાલાયક ગણવા તે ભ્રમ છે. સત્યાર્થને જ આદરવાલાયક ગણવું જોઈએ.

[નય=શ્રુતજ્ઞાનનું પડખું; નિમિત્ત=હાજરરૂપઅનુકૂળ પરવસ્તુ.]
(મોક્ષમાર્ગ પ્રકાશક-પૃષ્ઠ રપ૬ ના આધારે)

_________________________________________________________________

૧. ઉપસ્થિત; વિદ્યમાન