Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 38 of 655
PDF/HTML Page 93 of 710

 

અ. ૧ સૂત્ર ૮] [૩પ શબ્દ વ્યાપક છે, તે બધા પદાર્થોની મર્યાદા બતાવે છે. ‘સ્થિતિ’ થોડા જ પદાર્થોનું જ્ઞાન કરાવે છે. ‘કાળ’ સર્વ પદાર્થોનું જ્ઞાન કરાવે છે. ‘કાળ’ના બે પ્રકાર છે- (૧) નિશ્ચયકાળ, (ર) વ્યવહારકાળ. નિશ્ચયકાળ તે મુખ્યકાળ છે, અને પર્યાયવિશિષ્ટ પદાર્થોની હદ બતાવનારો અર્થાત્ કલાક, ઘડી, પળ આદિ વ્યવહારકાળ છે-એમ ‘કાળ’ શબ્દ બતાવે છે. ‘સ્થિતિ’નો અર્થ કાળની મર્યાદા છે અર્થાત્ ‘અમુક પદાર્થ અમુક જગ્યાએ આટલો કાળ રહે’ તે વાતને ‘સ્થિતિ’ શબ્દ બતાવે છે; એટલે કાળ અને સ્થિતિ એ બેમાં તફાવત છે.

‘ભાવ’ શબ્દ નિક્ષેપના સૂત્રમાં છે છતાં અહીં શા માટે?

નિક્ષેપના સૂત્ર (સૂત્ર-પ) માં ‘ભાવ’નો અર્થ એવો છે કે-વર્તમાનમાં જે અવસ્થા મોજૂદ હોય તેને ભાવનિક્ષેપ જાણવો અને ભવિષ્યમાં જે અવસ્થા થવાની હોય તેને વર્તમાનમાં છે-એમ કહેવું તે દ્રવ્યનિક્ષેપ છે; અને અહીં(સૂત્ર-૮ માં) ‘ભાવ’ શબ્દના ઉલ્લેખથી ઔપશમિક, ક્ષાયિક આદિ ભાવોનું ગ્રહણ છે. જેમકે ઔપશમિક પણ સમ્યગ્દર્શન અને ક્ષાયિક આદિ પણ સમ્યગ્દર્શન કહેવાય છે; એમ બન્ને ઠેકાણે (સૂત્ર પ માં તથા સૂત્ર ૮ માં) ‘ભાવ’ શબ્દનું જુદું જુદું પ્રયોજન છે.

વિસ્તાર બતાવવાનું કારણ

કેટલાક શિષ્યો તો થોડું કહેવાથી વિશેષ તાત્પર્ય સમજી લે છે; અને કેટલાક શિષ્યો એવા હોય છે કે જ્યારે વિસ્તારથી કહેવામાં આવે ત્યારે તે સમજી શકે. પરમ કલ્યાણમય આચાર્યનો ઉદ્દેશ હરેકને તત્ત્વોનું સ્વરૂપ સમજાવવાનો છે. પ્રમાણ-નયથી જ સમસ્ત પદાર્થોનું જ્ઞાન થઇ શકે છે છતાં વિસ્તારકથનથી સમજી શકે તેવા જીવોને નિર્દેશ આદિ તથા સત્ સંખ્યાદિનું જ્ઞાન કરાવવા માટે જુદાં જુદાં સૂત્રો કહ્યાં છે; માટે ‘એક સૂત્રમાં બીજાનો સમાવેશ થઇ જાય છે માટે વિસ્તાર વ્યર્થ છે’ એવી શંકા વ્યાજબી નથી.

પ્રશ્નઃ– જિનબિંબ(જિનપ્રતિમા) ના દર્શનથી સમ્યગ્દર્શનરૂપ ફળ થવું શાસ્ત્રમાં કહ્યું છે તો દર્શન કરનાર બધાંને તે ફળ થવું જોઇએ, છતાં બધાંને એ ફળ કેમ થતું નથી?

ઉત્તરઃ– સર્વજ્ઞની સત્તા (હોવાપણા) નો જેણે નિર્ણય કર્યો હોય છે તેને જિનપ્રતિમાના દર્શનથી સમ્યગ્દર્શન ફળ થાય છે, બીજાને થતું નથી બીજાઓએ સર્વજ્ઞનો નિશ્ચય તો કર્યો નથી, પણ માત્ર કુળપદ્ધતિથી, સંપ્રદાયના આશ્રયથી અગર મિથ્યાધર્મબુદ્ધિથી દર્શન-પૂજનાદિરૂપ તેઓ પ્રવર્ત છે, કેટલાક મતપક્ષના હઠાગ્રહીપણાથી અન્યદેવને માનતા નથી, માત્ર જિનદેવાદિના સેવક બની રહ્યા છે. એ બધાને નિયમથી પોતાના આત્મકલ્યાણરૂપ કાર્યની સિદ્ધિ થતી નથી.