स च भवति सुशास्त्रात्तस्य चोत्पत्तिराप्तात् ।
न हि कृतमुपकारं साधवो विस्मरन्ति ।।’’
વળી કેવળી ભગવાનને ભવાંતરમાં ઉત્પત્તિના નિમિત્તભૂત શુભાશુભ ભાવો નહિ હોવાથી તેમને જન્મ હોતો નથી; અને જે દેહવિયોગ પછી ભવાંતરપ્રાપ્તિરૂપ જન્મ થતો નથી તે દેહવિયોગને મરણ કહેવાતું નથી.
આ રીતે વીતરાગ સર્વજ્ઞ અઢાર દોષ રહિત છે.] એ જ રીતે (અન્ય શાસ્ત્રમાં ગાથા દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[ગાથાર્થઃ — ] તે ધર્મ છે જ્યાં દયા છે, તે તપ છે જ્યાં વિષયોનો નિગ્રહ છે, તે દેવ છે જે અઢાર દોષ રહિત છે; આ બાબતમાં સંશય નથી.’’
વળી શ્રી વિદ્યાનંદસ્વામીએ (શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] ઇષ્ટ ફળની સિદ્ધિનો ઉપાય સુબોધ છે (અર્થાત્ મુક્તિની પ્રાપ્તિનો ઉપાય સમ્યગ્જ્ઞાન છે), સુબોધ સુશાસ્ત્રથી થાય છે, સુશાસ્ત્રની ઉત્પત્તિ આપ્તથી થાય છે; માટે તેમના પ્રસાદને લીધે આપ્ત પુરુષ બુધજનો વડે પૂજવાયોગ્ય છે (અર્થાત્ મુક્તિ સર્વજ્ઞદેવની કૃપાનું ફળ હોવાથી સર્વજ્ઞદેવ જ્ઞાનીઓ વડે પૂજનીય છે), કેમ કે કરેલા ઉપકારને સાધુ પુરુષો (સજ્જનો) ભૂલતા નથી.’’
વળી (છઠ્ઠી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક દ્વારા સર્વજ્ઞ ભગવાન શ્રી નેમિનાથની સ્તુતિ કરે છે)ઃ —