સ્નેહથી ઊભરાઈ ગયું છે. તે ધજાઓથી આકાશને શોભાવતા પરમ વૈભવ સહિત
મહામંદિર સમાન રત્નના રથ ઉપર બેસીને આવ્યા. બંદીજનો બિરદાવલી સંભળાવે છે.
બધા એકઠા થઈને પંચસંગમ નામના પર્વત પર આવ્યા. રાવણ સામે આવ્યો. દાદા, પિતા
અને સૂર્યરજ, રક્ષરજ જે વડીલ હતા તેમને તે પગે લાગીને નીચેની ચરણરજ લીધી,
ભાઈઓને ગળે લગાડીને ભેટયો અને સેવકોને સ્નેહદ્રષ્ટિથી જોયા. તેણે પોતાના દાદા,
પિતા અને સૂર્યરજ, રક્ષરજને બહુ જ વિનયપૂર્વક ક્ષેમકુશળ પૂછયા. રાવણને જોઈ વડીલો
એટલા ખુશી થયા કે કથનમાં તે આવે નહિ. રાવણને વારંવાર સુખવાર્તા પૂછે છે અને
સ્વયંપ્રભ નગરને જોઈ આશ્ચર્યને પામ્યા. દેવલોક સમાન આ નગરને જોઈને રાક્ષસવંશી
અને વાનરવંશી બધા જ અતિપ્રસન્ન થયા, પિતા રત્નશ્રવા અને માતા કેકસી પુત્રના
અંગને અડતાં અને તેને વારંવાર પ્રણામ કરતો જોઈને ખૂબ આનંદ પામ્યા. બપોરે રાવણે
વડીલોને સ્નાન કરાવવાની યોજના કરી. સુમાલી આદિ રત્નોના સિંહાસન ઉપર સ્નાન
અર્થે બિરાજ્યા. સિંહાસન ઉપર એમનાં ચરણો પલ્લવ જેવાં કોમળ અને લાલ, ઉદયાચલ
પર્વત ઉપર સૂર્યની જેમ શોભતાં હતાં. પછી તેમને સુવર્ણરત્નોના કળશોથી સ્નાન
કરાવવામાં આવ્યું, કળશ કમળના પત્રથી આચ્છાદિત છે, મુખ જેનું, મોતીઓની માળાથી
શોભતા, અત્યંત કાંતિવાળા અને સુગંધી જળ ભરેલા છે, તેની સુગંધથી દશે દિશાઓ
સુગંધમય બની ગઈ છે, જેના પર ભમરા ગુંજારવ કરી રહ્યા હતા. સ્નાન કરાવતી વખતે
જ્યારે કળશમાંથી જળ રેડવામાં આવતું ત્યારે વાદળ સમાન ગર્જના થતી હતી. પહેલાં
શરીર ઉપર સુગંધી પદાર્થોનો લેપ કર્યો અને પછી સ્નાન કરાવ્યું. સ્નાન વખતે અનેક
પ્રકારનાં વાજિંત્રો વાગ્યાં. સ્નાન કરાવીને દિવ્ય વસ્ત્રાભૂષણ પહેરાવ્યાં, કુળવાન
રાણીઓએ અનેક મંગળાચરણ કર્યાં. રાવણાદિ ત્રણે ભાઈઓએ દેવકુમાર સમાન વડીલોનો
અત્યંત વિનય કરીને ચરણોમાં વંદન કર્યું ત્યારે વડીલોએ અનેક આશીર્વાદ આપ્યા કે “હે
પુત્રો! તમે દીર્ઘાયુ થાવ અને મહાન સંપદાનો ભોગ કરો. તમારા જેવી વિદ્યા બીજા પાસે
નથી.” સુમાલી, માલ્યવાન, સૂર્યરજ, રક્ષરજ અને રત્નશ્રવાએ સ્નેહથી રાવણ, કુંભકરણ
અને વિભીષણને છાતીસરસા ચાંપ્યા. પછી સર્વ સંબંધીઓ અને સેવકોએ સારી રીતે
ભોજન કર્યું, રાવણે વડીલોની ખૂબ સેવા કરી અને સેવકોનું ખૂબ સન્માન કર્યું સર્વને
વસ્ત્રાભૂષણ આપ્યાં. સુમાલી આદિ બધા જ વડીલોનાં નેત્રો હર્ષથી પ્રફૂલ્લિત હતાં. તેમણે
પ્રસન્ન થઈને કહ્યુંઃ હે પુત્રો! તમે ખૂબ જ સુખમાં રહો. તેઓ પણ નમસ્કાર કરીને
બોલ્યા કે હે પ્રભો! અમે આપના પ્રસાદથી સદા કુશળરૂપ છીએ. પછી માલીની વાત
નીકળી ત્યારે સુમાલી શોકના ભારથી મૂર્ચ્છિત બની ગયો. રાવણે શીતોપચાર દ્વારા તેમને
ભાનમાં આણ્યા અને સમસ્ત શત્રુઓના ઘાત કરવાનાં ક્ષત્રિય વચનો સંભળાવીને દાદાને
આનંદિત ર્ક્યા. સુમાલી કમલનેત્ર રાવણને જોઈને અતિ આનંદરૂપ બોલ્યાઃ હે પુત્ર! તારું
ઉદાર પરાક્રમ જોઈને દેવો પણ પ્રસન્ન થાય, તારી કાંતિ સૂર્યને જીતનારી અને ગંભીરતા
સમુદ્રથી અધિક છે. હે વત્સ!