ક્ષણભંગુર ભોગોને! એ કાળા નાગની ફેણ જેવા ભયાનક છે. આવા શૂરવીરોની આ
હાલત તો આપણી શી વાત? આ શરીરને ધિક્કાર! જે પાણીના પરપોટાસમાન નિઃસાર,
જરામરણ, ઈષ્ટવિયોગ, અનિષ્ટસંયોગ ઈત્યાદિ કષ્ટનું ભાજન છે. ધન્ય છે તે મહાપુરુષ,
ભાગ્યવંત, ઉત્તમ ચેષ્ટાના ધારક, જે વાંદરાની ભ્રમર સમાન લક્ષ્મીને ચંચળ જાણી, તેનો
ત્યાગ કરી દીક્ષા ધારણ કરે છે! આ પ્રમાણે અનેક રાજા વિરક્ત થઈ, દીક્ષા સન્મુખ થયા.
તેમણે એક પહાડની તળેટીમાં સુંદર વન જોયું. અનેક વૃક્ષોથી મંડિત, અત્યંત સઘન, નાના
પ્રકારનાં પુષ્પોથી શોભિત, જ્યાં સુગંધના લોલુપી ભમરાઓ ગુંજારવ કરી રહ્યા છે ત્યાં
મહાપવિત્ર સ્થાનકમાં રહેતા ધ્યાનાધ્યયનમાં લીન મહાતપના ધારક સાધુ જોયા. તેમને
નમસ્કાર કરી તે રાજા જિનનાથના ચૈત્યાલયમાં ગયા. તે સમયે પહાડનાં શિખરો પર
અથવા રમણીક વનમાં અથવા નદીઓના તટ પર અથવા નગર-ગ્રામાદિક જિનમંદિર હતાં
ત્યાં નમસ્કાર કરી એક સમુદ્ર સમાન ગંભીર મુનિઓના ગુરુ સત્યકેતુ આચાર્યની નિકટ
ગયા, નમસ્કાર કરી મહાશાંતરસ ભરેલા આચાર્યને વિનંતી કરવા લાગ્યા, હે નાથ! અમને
સંસારસમુદ્રથી પાર ઉતારો. ત્યારે મુનિએ કહ્યું કે તમને ભવપાર ઉતારનારી ભગવતી
દીક્ષા છે તે અંગીકાર કરો. મુનિની આ આજ્ઞા મેળવીને એ ખૂબ હર્ષ પામ્યા. રાજા
વિદગ્ધવિજય, મેરુક્રૂર, સંગ્રામલોલુપ, શ્રીનાગદમન, ધીર, શત્રુદમન અને વિનોદકંટક,
સત્યકઠોર, પ્રિયવર્ધન ઈત્યાદિ નિર્ગ્રંથ થયા. તેમના ગજ, તુરંગ, રથાદિ સકળ સાજ
સેવકોએ જઈને તેમના પુત્રાદિને સોંપ્યા એટલે તે ખૂબ ચિંતા કરવા લાગ્યા. પછી સમજીને
અનેક પ્રકારના નિયમ ધારણ કર્યા. કેટલાક સમ્યગ્દર્શન અંગીકાર કરીને સંતોષ પામ્યા.
કેટલાક નિર્મળ જિનેશ્વરદેવનો ધર્મ સાંભળીને પાપથી પરાઙમુખ થયા. ઘણા સામંતો રામ-
લક્ષ્મણની વાત સાંભળી સાધુ થયા, કેટલાકે શ્રાવકના અણુવ્રત ધારણ કર્યા. ઘણી રાણી
આર્યિકા બની, ઘણી શ્રાવક થઈ, કેટલાક સુભટોએ રામનો સર્વ વૃત્તાંત ભરત, દશરથ
પાસે જઈને કહ્યો તે સાંભળીને દશરથ અને ભરત કાંઈક ખેદ પામ્યા.
નગરમાંથી વનમાં ગયા. સર્વભૂતહિત સ્વામીને પ્રણામ કરી ઘણા રાજાઓ સાથે જિનદીક્ષા
લીધી. એકાકીવિહારી જિનકલ્પી થયા, જેમને પરમ શુક્લધ્યાનની અભિલાષા છે તો પણ
પુત્રના શોકથી કોઈક વાર થોડીક કલુષતા થઈ જાય છે. એક દિવસ તે વિચિક્ષણ પુરુષ
વિચારવા લાગ્યા કે સંસારનાં દુઃખનું મૂળ આ જગતનો સ્નેહ છે, એને ધિક્કાર હો!
એનાથી કર્મ બંધાય છે. મેં અનંત ભવ કર્યા તેમાં ગર્ભજન્મ ઘણા કર્યા, તે મારા
ગર્ભજન્મનાં અનેક માતાપિતા, ભાઈ, પુત્ર ક્યાં ગયા? અનેક વાર હું દેવલોકનાં ભોગ
ભોગવી ચૂક્યો અને અનેક વાર નરકનાં દુઃખ પણ ભોગવ્યા. તિર્યંચગતિમાં મારું શરીર
અનેક વાર આ જીવોએ ખાધું અને એમનું મેં ખાધું. જાતજાતની