Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 321 of 660
PDF/HTML Page 342 of 681

 

background image
પદ્મપુરાણ છત્રીસમું પર્વ ૩ર૧
જાનકીએ કહ્યું, હે નાથ! ઊંચો અવાજ કરીને બોલાવો. ત્યારે તેમણે અવાજ કર્યો. હે
ભાઈ! હે લક્ષ્મણ! હે બાળક! ક્યાં ગયો? જલદી આવ. ત્યારે ભાઈએ કહ્યું કે હે દેવ!
આ આવ્યો. પછી વનમાલા સહિત મોટા ભાઈની પાસે આવ્યો. અડધી રાત્રે ચંદ્રનો ઉદય
થયો. કુમુદો ખીલી ઉઠયાં. શીતલ મંદ મંદ પવન વાવા લાગ્યો. તે વખતે વનમાલા કૂંપળ
જેવા કોમળ કર જોડીને, વસ્ત્રથી સર્વ અંગ ઢાંકીને, લજ્જાથી નમ્ર મુખ કરીને, સમસ્ત
કર્તવ્ય જાણનારી, અત્યંત વિનયપૂર્વક શ્રી રામ ને સીતાનાં ચરણારવિંદમાં પડી. સીતા
લક્ષ્મણને કહેવા લાગ્યાઃ હે કુમાર! તમે ચંદ્રતુલ્ય બન્યા. ત્યારે લક્ષ્મણ લજ્જાથી નીચા
ઢળી ગયા. શ્રી રામ જાનકીને પૂછવા લાગ્યા, તમને કેવી રીતે ખબર પડી? ત્યારે સીતાએ
જવાબ આપ્યો હે દેવ! જે સમયે ચંદ્રકલા સહિત ચંદ્રનો ઉદ્યોત થયો તે જ સમયે કન્યા
સહિત લક્ષ્મણ આવ્યા. શ્રી રામ સીતાના વચન સાંભળીને પ્રસન્ન થયા.
પછી શીલવાન વનમાલા એમને જોઈને આશ્ચર્યથી ભરેલ પ્રસન્ન મુખમુદ્રા સાથે
સીતાની સમીપમાં બેઠી. દેવ સમાન આ બન્ને ભાઈ નિદ્રારહિત થઈ, સુખપૂર્વક કથાવાર્તા
કરતા બેઠા. આ તરફ વનમાલાની સખી જાગીને જુએ છે તો સેજ સૂની હતી. કન્યા
નહોતી. તે ભયથી વ્યાકુળ બની રુદન કરવા લાગી. તેના અવાજથી યોદ્ધાઓ જાગી ગયા,
આયુધો લઈને તરત દશે દિશામાં પગપાળા દોડી ગયા. હાથમાં બરછી અને ધનુષ હતાં.
દશે દિશા તેઓ ઢૂંઢી વળ્‌યા. રાજાના ભય અને પ્રીતિથી સંયુક્ત મનવાળા તે પવનના
પુત્રોની પેઠે દોડયા. તેમાંના કેટલાક આ તરફ આવ્યા, વનમાલાને વનમાં રામ-લક્ષ્મણની
પાસે બેઠેલી જોઈને ખૂબ હર્ષ પામ્યા અને જઈને રાજા પૃથ્વીધરને વધાઈ આપી. તેમણે
કહ્યું કે હે દેવ! જેમને મેળવવાનો ઘણો પ્રયત્ન કરીએ તો પણ ન મળે એ સહજમાં જ
આવી મળ્‌યા છે. હે પ્રભો! તમારા નગરમાં મહાનિધિ આવી છે, વાદળાં વિના
આકાશમાંથી વૃષ્ટિ થઈ છે, વાવ્યા વિના ખેતરોમાં અનાજ ઉગ્યું છે. તમારા જમાઈ
લક્ષ્મણ નગરની પાસે બેઠા છે, તેમણે વનમાલાને પ્રાણત્યાગ કરતાં બચાવી છે. તમારા
પરમ હિતચિંતક રામસીતા સહિત બિરાજે છે જેમ શચિ સાથે ઈન્દ્ર બિરાજે તેમ. સેવકોનાં
આ વચન સાંભળી રાજા અત્યંત હર્ષ પામ્યો, થોડી વાર તો મૂર્ચ્છિત જેવો થઈ ગયો.
પછી ખૂબ આનંદ પામી, સેવકોને ઘણું ધન આપ્યું અને મનમાં વિચારવા લાગ્યા કે મારી
પુત્રીનો મનોરથ સિદ્ધ થયો. જીવોને ધનની પ્રાપ્તિ અને ઇષ્ટનો સમાગમ તથા બીજાં
સુખનાં કારણો પુણ્યના યોગથી મળે છે. જે વસ્તુ સેંકડો યોજન દૂર હોય અને
સાંભળવામાં અ આવતી હોય તે પણ પુણ્યાધિકારીને ક્ષણમાત્રમાં પ્રાપ્ત થાય છે. જે પ્રાણી
પુણ્યહીન દુઃખનો ભોક્તા છે તેના હાથમાંથી ઇષ્ટ વસ્તુ પણ ચાલી જાય છે. પર્વતની ટોચે
કે વનમાં, સાગરમાં, માર્ગમાં પુણ્યના અધિકારીને ઇષ્ટ વસ્તુનો સમાગમ થાય છે. આમ
મનમાં ચિંતવીને પોતાની પત્નીને બધો વૃત્તાંત કહ્યો. સ્ત્રી વારંવાર પૂછે છે, જાણે કે આ
સ્વપ્ન જ હોય. પછી રામના અધર સમાન આરક્ત (લાલ) સૂર્યનો ઉદય થયો. રાજા
પ્રેમથી ભરેલો સર્વ પરિવાર સહિત હાથી ઉપર બેસીને રામને