Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 382 of 660
PDF/HTML Page 403 of 681

 

background image
૩૮૨ સુડતાળીસમું પર્વ પદ્મપુરાણ
અને સાચો સુગ્રીવ મૂર્ચ્છિત થઈ પડયો હતો તેને કુટુંબીજનો તંબૂમાં લાવ્યા ત્યારે તે
જાગ્રત થઈને રામને કહેવા લાગ્યો, હે પ્રભો! મારો ચોર હાથમાં આવ્યો હતો તેને
નગરમાં કેમ જવા દીધો? જો રામચંદ્રને મેળવીને પણ મારું દુઃખ ન મટે તો એના જેવું
બીજું દુઃખ કયું હોય? ત્યારે રામે કહ્યું કે તારું અને તેનું રૂપ જોઈને અમને તફાવત ન
જણાયો તેથી તારા શત્રુને હણ્યો નથી. કદાચ જાણ્યા વિના તારો જ જો નાશ થઈ જાય
તો યોગ્ય ન થાય. તું અમારો પરમ મિત્ર છે, તારા અને અમારા વચ્ચે જિનમંદિરમાં
પ્રતિજ્ઞા થઈ છે.
પછી રામે માયામયી સુગ્રીવને ફરીથી યુદ્ધ માટે બોલાવ્યો. તે બળવાન ક્રોધરૂપ
અગ્નિથી બળતો આવ્યો, રામ તેની સામે આવ્યા. તે સમુદ્રતુલ્ય, અનેક શસ્ત્રોના ધારક
સુભટોરૂપી મગરોથી પૂર્ણ હતો. તે વખતે લક્ષ્મણે સાચા સુગ્રીવને પકડી રાખ્યો કે જેથી
સ્ત્રીના વેરથી તે શત્રુની સન્મુખ ન જાય. શ્રી રામને જોઈને માયામયી સુગ્રીવના શરીરમાં
જે વૈતાલી વિદ્યા હતી તે તેને પૂછીને તેના શરીરમાંથી કાઢી લીધી. તેથી સુગ્રીવનો આકાર
મટી તે સાહસગતિ વિદ્યાધર ઇન્દ્રનીલ પર્વત જેવો દેખાવા લાગ્યો, જેમ સાંપની કાંચળી
દૂર થાય તેમ સુગ્રીવનું રૂપ દૂર થઈ ગયું. તેથી વાનરવંશીઓની જે અર્ધી સેના તેની સાથે
ભળી ગઈ હતી તે તેનાથી જુદી થઈ લડવા તૈયાર થઈ. બધા વાનરવંશી એક થઈ નાના
પ્રકારનાં આયુધોથી સાહસગતિ સાથે યુદ્ધ કરવા લાગ્યા. સાહસગતિ અત્યંત તેજસ્વી
પ્રબળ શક્તિનો સ્વામી હતો તેણે બધા વાનરવંશીઓને દશે દિશામાં ભગાડી મૂક્યા, જેમ
પવન ધૂળને ઉડાડી મૂકે તેમ. પછી સાહસગતિ ધનુષબાણ લઈને રામ સામે આવ્યો અને
મેઘમંડળ સમાન બાણોની વર્ષા કરવા લાગ્યો. જેનું પરાક્રમ ઉદ્ધત છે એવા સાહસગતિ
અને શ્રી રામની વચ્ચે તુમુલ યુદ્ધ થયું. પ્રબળ પરાક્રમી, રણક્રીડામાં પ્રવીણ રામે ક્ષુદ્ર
બાણો વડે સાહસગતિનું બખ્તર છેદી નાખ્યું, તીક્ષ્ણ બાણોથી સાહસગતિનું શરીર ચાળણી
જેવું કરી નાખ્યું અને તે પ્રાણરહિત થઈને ભૂમિ પર પડયો. બધાએ જોઈને નક્ક્ી કર્યું કે
આ પ્રાણરહિત છે. પછી સુગ્રીવ રામ-લક્ષ્મણની ખૂબ સ્તુતિ કરીને એમને નગરમાં
લાવ્યો, નગરની શોભા કરી, સુગ્રીવને સુતારાનો સંયોગ થયો. તે ભોગસાગરમાં ડૂબી
ગયો, તેને રાતદિવસનું ભાન રહ્યું નહિ. ઘણા દિવસો પછી સુતારાને જોઈ તેથી મોહિત
થઈ ગયો. શ્રી રામને નંદનવનની શોભા વટાવી જાય એવા આનંદ નામના વનમાં
રાખ્યા. તે વનની રમણીકતાનું વર્ણન કોણ કરી શકે? જ્યાં મહામનોજ્ઞ શ્રી ચંદ્રપ્રભુનું
ચૈત્યાલય છે તેમાં રામ-લક્ષ્મણે પૂજા કરી અને વિરાધિત આદિ સર્વ સૈન્યનો પડાવ
વનમાં રાખ્યો હતો, બધા ત્યાં ખેદરહિત થઈને રહ્યા. સુગ્રીવની તેર પુત્રીઓ રામચંદ્રનાં
ગુણ સાંભળીને અત્યંત અનુરાગથી ભરેલી રામને વરવાની ઇચ્છા કરવા લાગી. ચંદ્રમા
સમાન મુખવાળી તે પુત્રીઓનાં નામ સાંભળો-ચંદ્રાભા, હૃદયાવલી, હૃદયધર્મ્મા, અનુધરી,
શ્રીકાંતા, સુંદરી, સુરવતી. દેવાંગના સમાન જેનો વિભ્રમ છે તે મનોવાદિની, મનમાં
વસનારી, ચારુશ્રી, મદનોત્સવા, ગુણવતી-અનેક ગુણોથી શોભિત પદ્માવતી, ખીલેલા
કમળ સમાન મુખવાળી તથા જિનમતિ-સદા જિનપૂજામાં તત્પર;