Padmapuran (Gujarati). Parva 53 - Hanumannu Lankama jainey Sitaney malvu aney Lankaney nashtbrasht karvi.

< Previous Page   Next Page >


Page 404 of 660
PDF/HTML Page 425 of 681

 

background image
૪૦૪ ત્રેપનમું પર્વ પદ્મપુરાણ
સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણમાં આવે છે તેમ પ્રાણી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આવે છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં હનુમાનને લંકાસુંદરીની પ્રાપ્તિનું
વર્ણન કરનાર બાવનમું પર્વ પૂર્ણ થયું.
* * *
ત્રેપનમું પર્વ
(હનુમાનનું લંકામાં જઈને સીતાને મળવું અને લંકાને નષ્ટભ્રષ્ટ કરવી)
ગૌતમ સ્વામી શ્રેણિક રાજાને કહે છે કે હે રાજન્! તે પવનપુત્ર મહાપ્રભાવના
ઉદયથી થોડા જ સેવકો સાથે નિઃશંકપણે લંકામાં પ્રવેશી ગયો. તે પ્રથમ જ વિભીષણના
મહેલમાં ગયો. વિભીષણે તેનું ખૂબ સન્માન કર્યું. ક્ષણેક રહીને પરસ્પર વાર્તાલાપ કરતાં
હનુમાને કહ્યું કે રાવણ અર્ધા ભરતક્ષેત્રનો પતિ, સર્વનો સ્વામી તે દરિદ્ર મનુષ્યની જેમ
ચોરી કરીને પરસ્ત્રી લઈ આવે તે શું ઉચિત છે? જે રાજા છે તે મર્યાદાનું મૂળ છે, જેમ
નદીનું મૂળ પર્વત છે. રાજા જ અનાચારી હોય તો સર્વ લોકમાં નિંદા થાય માટે જગતના
કલ્યાણ નિમિત્તે રાવણને શીઘ્ર કહો કે ન્યાયનું ઉલ્લંઘન ન કરે હે નાથ એમ કહો કે
જગતમાં અપયશનું કારણ આ કર્મ છે. જેનાથી લોક નષ્ટ થાય તેવું ન કરવું, તમારા
કુળનું નિર્મળ ચરિત્ર કેવળ પૃથ્વી પર જ પ્રશંસાયોગ્ય નથી, સ્વર્ગમાં પણ દેવ હાથ
જોડીને, નમસ્કાર કરીને તમારા પૂર્વજોની પ્રશંસા કરે છે. તમારો યશ સર્વત્ર પ્રસિદ્ધ છે.
ત્યારે વિભીષણે કહ્યું કે મેં ધણી વાર ભાઈને સમજાવ્યા, પણ માનતા નથી. અને જે
દિવસથી સીતાને લઈ આવ્યા છે તે દિવસથી મારી સાથે વાત પણ નથી કરતા. તો પણ
તમારા કહેવાથી હું ફરી વાર દબાવીને કહીશ, પરંતુ તેનાથી આ હઠ છૂટવી મુશ્કેલી છે.
આજે અગિયારમો દિવસ છે, સીતા નિરાહાર છે, જળ પણ લેતાં નથી તો પણ રાવણને
દયા ઉપજી નથી, આ કામથી વિરક્ત થતા નથી. આ વાત સાંભળીને હનુમાનને અત્યંત
દયા ઉપજી. પ્રમદ નામના ઉદ્યાનમાં જ્યાં સીતા વિરાજે છે ત્યાં હનુમાન આવ્યા. તે વનની
સુંદરતા જોવા લાગ્યા, નવીન વેલોના સમૂહથી ભરેલા પર્ણો લાલ રંગના સુંદર સ્ત્રીના
કરપલ્લવ જેવાં શોભે છે. પુષ્પોના ગુચ્છો પર ભમરા ગુંજારવ કરે છે, ફળોની ડાળીઓ
નીચી નમી ગઈ છે, પવનથી તે હાલે છે, કમળોથી સરોવરો શોભે છે અને દેદીપ્યમાન
વેલોથી વૃક્ષ વીંટળાયેલાં છે. તે વન જાણે દેવવન અથવા ભોગભૂમિ જેવું લાગે છે,
પુષ્પોની મકરંદથી મંડિત જાણે સાક્ષાત્ નંદનવન છે. અનેક અદ્ભુતતાથી પૂર્ણ હનુમાન
કમળલોચન વનની લીલા દેખતા થકા સીતાના દર્શન નિમિત્તે આગળ ગયા. ચારે તરફ
વનમાં અવલોકન કર્યું તો દૂરથી જ સીતાને જોયાં. સમ્યગ્દર્શન સહિત મહાસતીને જોઈને
હનુમાન મનમાં વિચારવા લાગ્યા કે આ રામદેવની પરમસુંદરી