Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 527 of 660
PDF/HTML Page 548 of 681

 

background image
પદ્મપુરાણ નેવ્યાસીમું પર્વ પર૭
પરદેશમાંથી મંત્રાધીશને બોલાવવાનો અને દૂર દેશથી મણિ ઔષધિ મંગાવવાનો શો અર્થ
છે? માટે હવે સર્વ ચિંતા છોડી નિરાકુળ થઈને પોતાનું મન સમાધાનમાં લાવું. આમ
વિચારીને તે ધીરવીર ઘાથી પૂર્ણ હાથી પર બેસેલી સ્થિતિમાં જ ભાવમુનિ થવા લાગ્યા,
અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓને મનથી, વચનથી વારંવાર નમસ્કાર કરી
અરહંત સિદ્ધ સાધુ તથા કેવળી-પ્રણિત ધર્મ એ જ મંગળ છે, ઉત્તમ છે, એનું જ મારે
શરણ છે, અઢીદ્વીપમાં પંદર કર્મભૂમિમાં ભગવાન અરહંતદેવ હોય છે તે ત્રિલોકનાથ મારા
હૃદયમાં સ્થિતિ કરો. હું વારંવાર નમસ્કાર કરું છું. હવે હું યાવત્ જીવન સર્વ પાપયોગનો
ત્યાગ કરું છું, ચારેય આહારનો ત્યાગ કરું છું, પૂર્વે જે પાપ ઉપાર્જ્યાં હતાં તેની નિંદા કરું
છું અને સર્વ વસ્તુઓનો ત્યાગ કરું છું. અનાદિકાળથી આ સંસારવનમાં જે કર્મ ઉપાર્જ્યાં
હતાં તે મારા દુષ્કૃત મિથ્યા થાવ.
ભાવાર્થ– મને ફળ ન આપો. હવે હું તત્ત્વજ્ઞાનમાં સ્થિત છું, તજવા યોગ્ય
રાગાદિને તજું છું અને ગ્રહવા યોગ્ય નિજભાવનું ગ્રહણ કરું છું, જ્ઞાનદર્શન મારો સ્વભાવ
જ છે, તે મારાથી અભિન્ન છે અને શરીરાદિક સમસ્ત પરપદાર્થ કર્મથી ઉપજ્યા છે તે
મારાથી ભિન્ન છે, દેહત્યાગના સમયે સંસારી જીવો ધરતીનો તથા તૃણનો સાથરો કરે છે,
તે સાથરો (સંથારો) નથી. આ જીવ જ પાપબુદ્ધિ રહિત થાય ત્યારે પોતે જ પોતાનો
સાથરો છે. આમ વિચારીને રાજા મધુએ બન્ને પ્રકારના પરિગ્રહ ભાવથી તજ્યા અને
હાથીને પીઠ પર બેસી રહીને શિરના કેશનો લોચ કરવા લાગ્યો, શરીર ઘાવોથી અત્યંત
વ્યાપ્ત છે તો પણ દુર્દ્ધર ધૈર્ય ધારણ કરી આત્મયોગમાં આરૂઢ થઈ કાયાનું મમત્વ ત્યાગ્યું.
તેની બુદ્ધિ વિશુદ્ધ થઈ છે. શત્રુઘ્ને મધુની પરમ શાંત દશા જોઈને તેને નમસ્કાર કર્યા અને
કહ્યું કે હે સાધો! મારા અપરાધીના અપરાધ માફ કરો. દેવની અપ્સરાઓ મધુનો સંગ્રામ
જોવા આવી હતી તે આકાશમાંથી કલ્પવૃક્ષનાં પુષ્પોની વર્ષા કરવા લાગી. મધુના વીરરસ
અને શાંતરસ જોઈ દેવો પણ આશ્ચર્ય પામ્યા. પછી મધુ એક ક્ષણમાત્રમાં સમાધિમરણ
કરી ત્રીજા સનત્કુમાર સ્વર્ગમાં ઉત્કૃષ્ટ દેવ થયા અને મહાવિવેકી શત્રુઘ્ન મધુની સ્તુતિ
કરતો મથુરામાં દાખલ થયો. હસ્તિનાપુરમાં પ્રવેશતા જયકુમારની જેમ મધુપુરીમાં પ્રવેશતો
શત્રુઘ્ન શોભતો હતો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે નરાધિપતિ! આ સંસારમાં
કર્મોના પ્રસંગથી પ્રાણીઓની જુદી જુદી અવસ્થા થાય છે માટે ઉત્તમ જન, સદા અશુભ
કર્મ છોડી શુભ કર્મ કરો જેના પ્રભાવથી સૂર્યસમાન કાંતિની પ્રાપ્તિ થાય.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં મધુનું યુદ્ધ અને વૈરાગ્ય તથા
લવણાર્ણવના મરણનું વર્ણન કરનાર નેવ્યાસીમું પર્વ પૂર્ણ થયું.
* * *