Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 50 of 660
PDF/HTML Page 71 of 681

 

background image
પ૦ પાંચમું પર્વ પદ્મપુરાણ
દુષ્ટકર્મી નરકમાં પડે છે તેના જેવો બીજો કોઈ પાપી નથી. એ જીવોના પ્રાણ હરી અનેક
જન્મો સુધી કુગતિમાં દુઃખ પામે છે - જેમ લોઢાનો ટુકડો પાણીમાં ડૂબી જાય છે તેમ
હિંસક જીવ ભવસાગરમાં ડૂબે છે. જે વચનમાં મીઠા બોલ બોલે છે અને હૃદયમાં વિષ
ભર્યું હોય, ઈન્દ્રિયોને વશ થઈને મનથી મલિન હોય, શુભાચારથી રહિત, સ્વેચ્છાચારી
કામના સેવનાર છે, તે નરક, તિર્યંચ ગતિમાં ભ્રમણ કરે છે. પ્રથમ તો આ સંસારમાં
જીવને મનુષ્યદેહ દુર્લભ છે. એમાં ઉત્તમ કુળ, આર્યક્ષેત્ર, સુન્દરતા, ધનની પૂર્ણતા, વિદ્યાનો
સમાગમ, તત્ત્વનું જ્ઞાન, ધર્મનું આચરણ, એ બધું અતિદુર્લભ છે. ધર્મના પ્રસાદથી કેટલાક
તો સિદ્ધપદ પામે છે. કેટલાક સ્વર્ગમાં સુખ મેળવી પરંપરાએ મોક્ષ પામે છે અને કેટલાક
મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાન તપથી દેવ થઈ, સ્થાવર યોનિમાં જઈ પડે છે. કેટલાક પશુ થાય છે,
કેટલાક મનુષ્ય જન્મ પામે છે. માતાનું ગર્ભસ્થાન મળમૂત્રથી ભરેલું છે. કૃમિઓના
સમૂહથી પૂર્ણ છે. અત્યંત દુર્ગંધવાળું, અત્યંત દુસ્સહ, તેમાં પિત્ત-કફની વચ્ચે ચામડીની
જાળથી ઢંકાયેલ આ પ્રાણી જનનીના આહારનો રસાંશ ચાટે છે. તેનાં સર્વ અંગ
સંકોચાઈને રહે છે. દુઃખના ભારથી પીડિત થઈ, નવ મહિના ઉદરમાં વસીને યોનિદ્વારથી
બહાર નીકળે છે. મનુષ્યદેહ પામીને પાપી જીવ ધર્મને ભૂલી જાય છે. મિથ્યાદ્રષ્ટિ જીવ
નિયમ, ધર્મ, આચાર રહિત બની વિષયોનું સેવન કરે છે. જે જ્ઞાનરહિત થઈ, કામને વશ
વર્તીને સ્ત્રીઓને વશ થાય છે તે મહાદુઃખ ભોગવતા થકા સંસારસમુદ્રમાં ડૂબે છે. તેથી
વિષયકષાયનું સેવન ન કરવું. હિંસક વચન જેમાં પરજીવને પીડા થતી હોય તેવું ન
બોલવું. હિંસા જ સંસારનું કારણ છે. ચોરી ન કરવી, સત્ય બોલવું, સ્ત્રીનો સંગ ન કરવો,
ધનની વાંછા ન રાખવી, સર્વ પાપારંભ ત્યજવા, પરોપકાર કરવો, પરને પીડા ન
પહોંચાડવી. આવી મુનિની આજ્ઞા સાંભળીને, ધર્મનું સ્વરૂપ જાણીને રાજા વૈરાગ્ય પામ્યો.
મુનિને નમસ્કાર કરી પોતાના પૂર્વભવ પૂછયા. ચાર જ્ઞાનના ધારક મુનિ શ્રુતસાગરે
સંક્ષેપમાં તેના પૂર્વભવ કહ્યા. હે રાજન! પોદનાપુરમાં હિત નામના એક મનુષ્યની માધવી
નામની સ્ત્રીના કૂખે પ્રતિમ નામનો તું પુત્ર જન્મ્યો. તે જ નગરના રાજા ઉદયાચળ, રાણી
ઉદયશ્રી અને પુત્ર હેમરથે એક દિવસે જિનમંદિરમાં મહાપૂજા કરાવી. તે પૂજા આનંદ
કરનારી હતી. તેનો જયજયકાર શબ્દ સાંભળીને તેં પણ જયજયકારનું ઉચ્ચારણ કર્યું અને
પુણ્ય ઉપાર્જ્યું. કાળ પ્રાપ્ત થતાં તું મરીને યક્ષોમાં મહાયક્ષ થયો. એક દિવસે વિદેહક્ષેત્રમાં
કાંચનપુર નગરના વનમાં મુનિઓ ઉપર પૂર્વભવના શત્રુઓએ ઉપસર્ગ કર્યો. તે યક્ષે તેમને
ડરાવીને ભગાડી મૂકયા અને મુનિની રક્ષા કરી તેથી અતિ પુણ્યરાશિનું ઉપાર્જન કર્યું.
કેટલાક દિવસોમાં આયુષ્ય પૂર્ણ કરી યક્ષ તડીદંગદ નામના વિદ્યાધરની સ્ત્રી શ્રી પ્રભાના
પેટે ઉદિત નામનો પુત્ર થયો. અમરવિક્રમ વિદ્યાધરોના સ્વામી વંદના નિમિત્તે મુનિઓ
પાસે આવ્યા હતા તેમને જોઈને નિદાન કર્યું. અને મહાતપથી બીજા સ્વર્ગમાં જઈ ત્યાંથી
ચ્યવીને તું મેઘવાહનનો પુત્ર થયો. હે રાજા! તેં સૂર્યના રથની પેઠે સંસારમાં ભ્રમણ કર્યું.
જિહવાનો લોલુપી અને સ્ત્રીઓને વશ થઈને તેં અનંતભવ કર્યા. આ સંસારમાં તારાં
એટલાં શરીર થયાં કે જો તેમને ભેગાં કરીએ