ભાવાર્થઃ — ૫૩મી ગાથામાં જીવને સાદિ-સાંતપણું તેમ જ અનાદિ-અનંતપણું કહેવામાં આવ્યું. ત્યાં પ્રશ્ન સંભવે છે કે — સાદિ-સાંતપણું અને અનાદિ-અનંતપણું પરસ્પર વિરુદ્ધ છે; પરસ્પર વિરુદ્ધ ભાવો એકીસાથે જીવને કેમ ઘટે? તેનું સમાધાન આ પ્રમાણે છેઃ જીવ દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુ છે. તેને સાદિ-સાંતપણું અને અનાદિ- અનંતપણું બન્ને એક જ અપેક્ષાએ કહેવામાં આવ્યાં નથી, ભિન્ન ભિન્ન અપેક્ષાએ કહેવામાં આવ્યાં છે; સાદિ-સાંતપણું કહેવામાં આવ્યું છે તે પર્યાય-અપેક્ષાએ છે અને અનાદિ-અનંતપણું દ્રવ્ય-અપેક્ષાએ છે. માટે એ રીતે જીવને સાદિ-સાંતપણું તેમ જ અનાદિ-અનંતપણું એકીસાથે બરાબર ઘટે છે.
(અહીં જોકે જીવને અનાદિ-અનંત તેમ જ સાદિ-સાંત કહેવામાં આવ્યો તોપણ તાત્પર્ય એમ ગ્રહવું કે પર્યાયાર્થિકનયના વિષયભૂત સાદિ-સાંત જીવનો આશ્રય કરવાયોગ્ય નથી પરંતુ દ્રવ્યાર્થિકનયના વિષયભૂત એવું જે અનાદિ-અનંત, ટંકોત્કીર્ણજ્ઞાયકસ્વભાવી, નિર્વિકાર, નિત્યાનંદસ્વરૂપ જીવદ્રવ્ય તેનો જ આશ્રય કરવાયોગ્ય છે.) ૫૪.
અન્વયાર્થઃ — [ नारकतिर्यङ्मनुष्याः देवाः ] નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ [ इति नामसंयुताः ] એવાં નામવાળી [ प्रकृतयः ] (નામકર્મની) પ્રકૃતિઓ [ सतः नाशम् ] સત્ ભાવનો નાશ અને [ असतः भावस्य उत्पादम् ] અસત્ ભાવનો ઉત્પાદ [ कुर्वन्ति ] કરે છે.
ટીકાઃ — જીવને સત્ ભાવના ઉચ્છેદ અને અસત્ ભાવના ઉત્પાદમાં નિમિત્તભૂત ઉપાધિનું આ પ્રતિપાદન છે.