ભાવાર્થઃ — ‘સમય’ નિમિત્તભૂત એવા મંદ ગતિએ પરિણત પુદ્ગલ-પરમાણુ વડે પ્રગટ થાય છે — મપાય છે (અર્થાત્ પરમાણુને એક આકાશપ્રદેશેથી બીજા અનંતર આકાશપ્રદેશે મંદ ગતિથી જતાં જે વખત લાગે તેને સમય કહેવામાં આવે છે). ‘નિમેષ’ આંખના વીંચાવાથી પ્રગટ થાય છે (અર્થાત્ ખુલ્લી આંખને વીંચાતાં જે વખત લાગે તેને નિમેષ કહેવામાં આવે છે અને તે એક નિમેષ અસંખ્યાત સમયોનો હોય છે). પંદર નિમેષની એક ‘કાષ્ઠા’, ત્રીશ કાષ્ઠાની એક ‘કળા’, વીશથી કાંઈક અધિક કળાની એક ‘ઘડી’ અને બે ઘડીનું એક ‘મુહૂર્ત’ બને છે. ‘અહોરાત્ર’ સૂર્યના ગમનથી પ્રગટ થાય છે (અને તે એક અહોરાત્ર ત્રીશ મુહૂર્તનું હોય છે). ત્રીશ અહોરાત્રનો એક ‘માસ’, બે માસની એક ‘ૠતુ’, ત્રણ ૠતુનું એક ‘અયન’ અને બે અયનનું એક ‘વર્ષ’ બને છે. — આ બધો વ્યવહારકાળ છે. ‘પલ્યોપમ’, ‘સાગરોપમ’ વગેરે પણ વ્યવહારકાળના ભેદો છે.
ઉપરોક્ત સમય-નિમેષાદિ બધાય ખરેખર કેવળ નિશ્ચયકાળના જ ( – કાળદ્રવ્યના જ) પર્યાયો છે પરંતુ તેઓ પરમાણુ વગેરે દ્વારા પ્રગટ થતા હોવાથી (અર્થાત્ પર પદાર્થો દ્વારા માપી શકાતા હોવાથી) તેમને ઉપચારથી પરાશ્રિત કહેવામાં આવે છે. ૨૫.
અન્વયાર્થઃ — [ चिरं वा क्षिप्रं ] ‘ચિર’ અથવા ‘ક્ષિપ્ર’ એવું જ્ઞાન ( – બહુ કાળ અથવા થોડો કાળ એવું જ્ઞાન) [मात्रारहितं तु] પરિમાણ વિના ( – કાળના માપ વિના) [न अस्ति] હોય નહિ; [सा मात्रा अपि] અને તે પરિમાણ [खलु] ખરેખર [पुद्गलद्रव्येण विना] પુદ્ગલદ્રવ્ય વિના થતું નથી; [तस्मात्] તેથી [कालः प्रतीत्यभवः] કાળ આશ્રિતપણે ઊપજનારો છે (અથાત્ વ્યવહારકાળ પરનો આશ્રય કરીને ઊપજે છે એમ ઊપચારથી કહેવાય છે). પં. ૭