Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1014 of 4199

 

૨૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪

ભૂતકાળથી ભવિષ્યનો કાળ અનંતગુણો અધિક છે. તે અનંતકાળ પર્યંત જીવ અનંત સુખમાં સમાધિસ્થ રહેશે એ ભેદજ્ઞાનનું ફળ છે. અહો ભેદજ્ઞાન!

પ્રશ્નઃ– વ્યવહારને મુક્તિનું સાધન કહ્યું છે ને?

ઉત્તરઃ– હા, પણ એ ઉપચારથી કહ્યું છે. અને તે કથન અજ્ઞાનીના રાગને લાગુ પડતું

નથી. જેને નિશ્ચયના ભાનપૂર્વક અભેદરત્નત્રય પ્રગટ થયેલ છે તે જ્ઞાનીને જે ભેદરત્નત્રયનો વિકલ્પ સહચરપણે છે તેને આરોપ આપીને વ્યવહારથી સાધન કહ્યો છે. ભેદરત્નત્રયના રાગનો અભાવ કરીને મુક્તિ પામશે એ અપેક્ષાએ તેને પરંપરા કારણ કહ્યું છે. બાકી વ્યવહારથી પરંપરા મુક્તિ થશે એ વ્યવહારનયનું કથન છે અને તે અસત્યાર્થ છે.

મુક્તિનું સાક્ષાત્ કારણ તો અભેદરત્નત્રય છે કેમકે અભેદરત્નત્રયની પર્યાયનો વ્યય થઈ કેવળજ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે. ખરેખર તો અભેદરત્નત્રયથી કેવળજ્ઞાન થયું એમ કહેવું એ પણ વ્યવહાર છે. તથા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને તેનું કારણ કહેવું એ પણ ઉપચાર છે. કેવળજ્ઞાનની પર્યાયનું વાસ્તવિક કારણ કેવળજ્ઞાનની પર્યાય જ છે, દ્રવ્ય-ગુણ નહિ, પૂર્વની અભેદરત્નત્રયની પર્યાય પણ નહિ અને ભેદરત્નત્રયનો રાગ પણ નહિ. બહુ ઝીણી વાત, પ્રભુ! ભરતક્ષેત્રમાં ભગવાનની ગેરહાજરી છે અને લોકો વ્યવહારથી ધર્મ થાય એમ માનવા લાગ્યા છે. શું થાય ભાઈ? સંતોનો અને વીતરાગનો એ અભિપ્રાય નથી.

અહીં કહે છે-કર્તા, કર્મ ક્રિયા-ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે, પ્રદેશભેદરૂપ જુદી વસ્તુ નથી. અસંખ્ય પ્રદેશમાં પર્યાય ઉત્પન્ન થાય છે, પ્રદેશભેદ નથી. બીજે એમ આવે છે કે પર્યાયનું ક્ષેત્ર ભિન્ન અને ધ્રુવનું ક્ષેત્ર ભિન્ન છે. એ તો દ્રવ્ય-પર્યાયની પરસ્પર ભિન્નતાની વાત છે. ધર્મ અને ધર્મી બન્ને નિરપેક્ષ છે એમ સિદ્ધ કરવાની વાત છે. પરંતુ અહીં તો સ્વદ્રવ્ય-પરદ્રવ્યની ભિન્નતાની વાત છે. દ્રવ્યના પરિણામ દ્રવ્યથી અભિન્ન છે, પરદ્રવ્યથી ભિન્ન છે; પરદ્રવ્ય એમાં કાંઈ કરતું નથી.

નિમિત્તના, વ્યવહારના અને ક્રમબદ્ધપર્યાયના લોકોને વાંધા છે પણ ક્રમબદ્ધપર્યાય એ તો વસ્તુની સ્થિતિ છે. એક પછી એક જે સમયે જે પર્યાય થવાની હોય તેમાં દ્રવ્ય પણ ફેરફાર કરી શકતું નથી. ક્રમબદ્ધપર્યાય થાય તેને દ્રવ્ય જાણે પણ તેમાં ફેરફાર દ્રવ્ય કરી શકતું નથી. આત્મા અનંત શક્તિઓનો પિંડ છે. શક્તિવાન દ્રવ્ય શુદ્ધ છે, તેના ગુણો શુદ્ધ છે. અને તેની દ્રષ્ટિ થતાં પર્યાય પણ ક્રમસર નિર્મળ પરિણમે છે. શક્તિના વર્ણનમાં વિકારી પરિણામની વાત નથી કેમકે અશુદ્ધતા થાય એવી દ્રવ્યમાં કોઈ શક્તિ જ નથી. ગુણો અક્રમે વર્તે છે અને પર્યાયો ક્રમે વર્તે છે. શક્તિવાન દ્રવ્યની જેને દ્રષ્ટિ થાય તેને નિર્મળ પર્યાયો ક્રમસર એક પછી એક થયા જ કરે છે.

અહીં એમ કહે છે કે કર્તા, કર્મ, ક્રિયા-ત્રણેયના પ્રદેશો અભિન્ન છે, તે ત્રણ પ્રદેશભેદરૂપ જુદી વસ્તુઓ નથી. આ પ્રમાણે પરદ્રવ્યથી ભિન્નતા કહી.